રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ચાર દિવસથી ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજુ રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે જેથી આગામી 5 દિવસ ભારે વરસાદ વરસી શકે છે. જેની સૌથી વધુ અસર કચ્છમાં દેખાશે. તો આગાહીને પગલે માછીમારોને 2 દિવસ 6 અને 7 સપ્ટેમ્બરના રોજ દરિયો ન ખેડવા સુચના અપાઇ છે.
અત્યારે રાજ્યભરમાં મેઘરાજા પોતાની કૃપા વરસાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને મહિસાણામાં મેઘરાજા પોતાની કૃપા વરસાવી રહ્યા છે, તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં, જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા ઝરમર ઝરમર વરસી રહ્યા છે.
ગુજરાતમાં ચોમાસામાં અત્યાર સુધીમાં કુલ 99.99 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ડેમોમાં પાણીનો જથ્થાનો એટલો સંગ્રહ થયો છે કે, આગામી દોઢ વર્ષ સુધી પાણીની સમસ્યા રહેશે નહીં. રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં અમદાવાદમાં 22 ઇંચ, વડોદરામાં 64 ઇંચ, સુરતમાં 54 ઇંચ અને રાજકોટમાં 45 ઇંચ વરસાદ પડયો છે.