ગાંધીનગરમાં યુવરાજસિંહની ધરપકડ મામલે જીતુ વાઘાણી અને સી.આર. પાટીલનું નિવેદન
ગાંધીનગરમાં યુવરાજસિંહની ધરપકડનો મામલો
કાયદો બધા માટે સરખો છે- જીતુ વાઘાણી
કાયદો કાયદાનું કામ કરશે- પાટીલ
પોલીસ પર હુમલો કરવાના ગુના હેઠળ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ભાજપના પ્રવક્તા જીતુવાઘાણીની પ્રતિક્રિયા સામે આવી. તેઓએ જણાવ્યું કે કાયદો બધા માટે સરખો છે. પોતાની રજૂઆત કરવાનો સૌને અધિકાર છે પરંતુ કાયદાની મર્યાદામાં રજૂઆત કરવી જોઇએ
કાયદો તોડનારને નહી છોડવામાં આવે-જીતુ વાઘાણી
આ અંગે વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે જે કાયદો તોડશે તેની સામે પોલીસ અને ન્યાયતંત્ર કાર્યવાહી કરશે. આક્ષેપ કરવા સહેલા છે. ગેરકાયદેસર કામગીરી કરનારા સામે ભૂતકાળમાં પગલા લીધા છે અને ભવિષ્યમાં પણ સરકાર પગલા લેશે.
કાયદો કાયદાનું કામ કરશે- સી.આર. પાટીલ
તો આ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે કાયદો કાયદાનું કામ કરશે. કાયદો બધા માટે સરખો છે. કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે કડક પગલા લેવા જ જોઇએ.
'પોલીસ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો'
મહત્વનું છે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મામલે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી. પોલીસે યુવરાજસિંહ સામે પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાના પ્રયાસનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. 'યુવરાજસિંહે ઉમેદવારોને ઉશ્કેરવાનું કામ કર્યું'
ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાની પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે યુવરાજસિંહ જાડેજાની સત્યતા જાણ્યા વિના ઉમેદવારો કોઇ વાતમાં કુદી ન પડે. તેઓ દ્વારા રાત્રે ઉમેદવારો અને યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. અમારી પાસે ઉશ્કેરણી કરવાની પણ વીડિયો ક્લીપ છે. પોલીસ સાથેની માથાકૂટના વીડિયો રેકોર્ડિંગ પણ છે. કોઇ પણ ઉમેદવારની કારર્કિદી બગડે તેમ પોલીસ ઇચ્છતી નથી. ઉશ્કેરણીથી કોઇ ખોટુ કામ કરશે તે ચલાવી લેવાશે નહી.પોલીસ એક તરફ પેપરલીક કેસ મામલે સખત કાર્યવાહી કરી જ રહી છે. અને હવે આગળની કાર્યવાહી કોર્ટમાં થશે તેમ જણાવ્યું હતું.