દેશમાં કોરોના વાયરસની સામે મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યો છે અને હવે આ અભિયાનમાં સામાન્ય જનતાને પણ કોરોના વાયરસની રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં શરૂ થશે કોરોના વેક્સિન અભિયાન 2.0
60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપશે વેક્સિન
10 હજાર સરકારી સેન્ટર પર મફતમાં અપાશે રસી
પહેલી માર્ચથી ભારતમાં કોરોના વાયરસની રસી માટે બીજા ચરણની શરૂઆત થવા જઈ રહી છે. 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. સાથે સાથે 45 વર્ષથી વધુ વયના એવા લોકો જેમને ગંભીર બીમારી છે તેમને પણ રસીના ડોઝ આપવામાં આવશે. બીજી તરફ હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કોરોના વાયરસની રસી મળવાની શરૂઆત થઈ જશે.
વેક્સિનનેશન 2.0માં શું છે ખાસ?
ભારતમાં 16મી જાન્યુઆરીથી કોરોના વાયરસની રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સૌથી પહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓને આ રસી આપવામાં આવી છે. બધા જ કેન્દ્રો પર મફતમાં આ રસી આપવામાં આવી છે અને એક કરોડથી પણ વધારે લોકોને રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે.
હવે આ અભિયાન બીજા ચરણમાં આવી ગયું છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના સુધીમાં 30 કરોડ લોકોને કોરોના વાયરસની રસીના ડોઝ આપવામાં આવી શકે છે.
બીજા ચરણમાં 10 હજાર સરકારી સેન્ટર પર રસીના ડોઝ આપવામાં આવશે જેમાં મફતમાં રસી મળશે
હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કોરોના વાયરસની રસી નાણાં ચૂકવીને લઈ શકાશે. જોકે તેના કિંમતની જાહેરાત સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવશે. 20 હજાર જેટલા પ્રાઇવેટ સેન્ટર પર પણ આ રસી મળશે.
બીજા ચરણમાં લોકોએ જાતે જ CO-WIN એપ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપમાં તમારા લોકેશન મુજબ સમય-જગ્યા અને અન્ય જાણકારીઑ આપવામાં આવશે.
આ એપ સિવાય હોસ્પિટલો તથા કોમન સર્વિસ સેન્ટરમાં પણ રજીસ્ટ્રેશન કરાવવાની સુવિધા મળશે
આ બધી જ પ્રક્રિયામાં આધાર કાર્ડ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે
લોકોને પ્રાઇવેટ અથવા સરકારી સેન્ટરની પસંદગી કરવાની તક આપવામાં આવશે.
એમ્સના ડૉક્ટર ગુલેરીયાએ કહ્યું કે કોરોના વાયરસના રસીકરણમાં બીજું ચરણ ખૂબ મહત્વપૂર્ણ છે અને આશા છે કે વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવશે જેથી કોરોના વાયરસનું સંક્રમણ રોકી શકાય.
45 વર્ષથી વધુ વયના કયા લોકોને મળી શકશે વેક્સિન?
સરકારે એલાન કર્યું છે કે 45 વર્ષથી વધુ ઉંમરના એવા લોકો જેમને ગંભીર બીમારી છે તેમને પણ રસી આપવામાં આવશે ત્યારે ડૉ. ગુલેરિયાએ કહ્યું છે કે તે કેટેગરીમાં કોણ કોણ આવશે તેના પર સરકાર આધિકારિક એલાન કરશે.