દેશના જાણીતા તબીબ ડો.નરેશ ત્રેહાને આ અંગે નારાજગી વ્યક્ત કરી છે કે,શાળાઓ ખોલવાની શી જરૂર છે? બાળકો બીમાર પડશે તો સંભાળવા મુશ્કેલ થઈ પડશે.
રસીકરણ પહેલા ખુલતી શાળાઓ અંગે નારાજગી
શાળાઓ ખોલવાની શી ઉતાવળ છે ?
બાળકોની વૈક્સીન ના આવે ત્યાં સુધી ધીરજ ધરવા સલાહ
ગુજરાત સહીત દેશના અન્ય રાજ્યોમાં કોરોના સંક્રમણની બીજી લહેર લગભગ સમાપ્ત થઇ રહી છે.દરમિયાન,ત્રીજી લહેરની ભીતિ સાથે મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોને બાદ કરતા અન્ય રાજ્યોમાં શાળાઓ ખુલી રહી છે.ત્યારે, દેશના અગ્રણી તબીબ ડો.નરેશ ત્રેહાને શાળાઓ ખુલવા સામે નારાજગી સાથે ચિંતા વ્યક્ત કરી છે.ડો.ત્રેહાને કહ્યું કે, કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ભીતિ છે ત્યારે,શાળાઓ ખોલવાની શી ઉતાવળ છે ? બાળકો બીમાર પડશે તો સંભાળવા મુશ્કેલ થઇ પડશે.
પહેલા રસીકરણ,પછી સ્કૂલ
શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે જલ્દી રસી ઉપલબ્ધ થશે તેવું કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કહ્યું છે.સંભવત;સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશના મોટા ભાગના રાજ્યોમાં બાળકો માટેની રસી ઉપલબ્ધ થવાની સંભાવનાઓ છે.ત્યારે, ડો.ત્રેહાન કહે છે કે ,બાળકોના રસીકરણ પહેલા શાળાઓ ખોલવાનો તર્ક સમજાય તેવો નથી. સ્કૂલ ખોલવાની શા માટે ઉતાવળ કરવામાં આવી રહી છે ? ડો. નરેશ ત્રેહાને અપીલ પણ કરી છે કે,વૈક્સીન નાં આવે ત્યાં સુધી ધીરજ રાખો અને એક વાર તમામ બાળકોનું રસીકરણ થઇ જાય પછી શાળાઓ ખોલો. વધુમાં, દેશની જનસંખ્યાનો વ્યાપ જોતા આપણે સતર્ક રહેવું જોઈએ.
ત્રીજી લહેર માટે શું કર્યું હતું નિવેદન ?
ડો.નરેશ ત્રેહાને,કોરોના સંક્રમણની ત્રીજી લહેર માટે પણ અગાઉ નિવેદન કર્યું હતું. ડો .ત્રેહાને કહ્યું હતું કે, જો કોરોનાની ત્રીજી લહેર પર અંકુશ રાખવો હશે તો,તમામ નાગરીકોએ શિસ્તબદ્ધ વર્તન કરવું પડશે. તમામ નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.ત્યારે જ, કોરોનાની ત્રીજી લહેરને આપણે આગળ ધપતી અટકાવી શકીશું. જો કે તેનું (ત્રીજી લહેરનું )આવવું નિશ્ચિત છે.
વૈક્સીન માટે પણ ડો,નરેશ ત્રેહાને મત આપ્યો હતો કે, દેશની જનસંખ્યા એટલી બહોળી છે કે, હજુ ચાર-પાંચ મહિના વૈક્સીનેશન માટે લાગી જશે. આપણે એ જોવું જોઈએ કે, ત્રીજી લહેરને આપણે કેટલી નાની કરી શકીએ છીએ ,અથવા કેટલી ટાળી શકીએ છીએ. જો મોટી આબાદીનું રસીકરણ થઈ જાય તો કોરોનાની ત્રીજી લહેર ચાર-પાંચ મહિના દૂર ઠેલાઈ જાય.અને આપણીપણ તૈયારીઓ ઠીક થઇ જાય.
દેશમાં નવા કેસ કેટલાં ?
રવિવારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેશમાં કોરોનાના 45,083 નવા કેસ નોંધાય છે. જ્યારે 460 લોકોના મોત નીપજ્યા છે.તો 35,840 દર્દીઓ કોરોનાને મહાત આપી ઘરે પરત ફર્યા છે.દેશમાં એક્ટીવ કેસની સંખ્યા 3 લાખ 68 હજાર 558 છે.