ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે એક તરફ ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ રાજ્યના નર્મદાના કેવડિયા ખાતે આજથી બે દિવસીય સ્પીકર સંમેલનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાર્યક્રમનું ઉધ્ધાટન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજર રહેશે.
રાજ્યમાં કોરોનાકાળમાં આજથી નર્મદાના કેવડિયા ખાતે 2 દિવસીય સ્પીકર સંમેલનની શરુઆત થવા જઇ રહી છે. જેનું ઉધ્ધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા હાજર રહેશે.
કેવડિયા ખાતેના આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત રાજ્યસભાના ઉપસભાપતિ અને લોકસભાના ઉપાધ્ય ભાગ લેશે. તમામ વિધાનસભાઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જોડાશે. વિધાનપરિષદોના સભાપતિ-ઉપસભા પતિ પણ ભાગ લેશે. લોકસભા, રાજ્યસભા, વિધાનસભાઓ વચ્ચે સંવાદ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વખત આવો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ દેશના ઇતિહાસમાં પહેલીવાર સ્પીકરની અખિલ ભારતીય બેઠક હોય એવી પહેલી ઘટના બની રહી છે તે ગુજરાતમાં બની રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે. દેશની એકતાના ઘડવૈયા સરદાર સાહેબનું આ સ્મારક છે.
પ્રતિમાની 182 મીટરની ઊંચાઈ રાજ્યની વિધાનસભાના 182 સદસ્યોની સૂચક છે અને ગુજરાતના સાડા છ કરોડ પ્રજાજનોની લાગણી તેની સાથે જોડાયેલી છે. આ માહિતી આપતાં રાજેન્દ્ર ત્રિવેદીએ આ અતિ વિશિષ્ઠ સ્થળની આ પરિષદ માટે પસંદગી કરવા બદલ લોકસભાના અધ્યક્ષને સાભાર ધન્યવાદ આપ્યા હતા.
કાર્યક્રમના સમાપનમાં PM મોદી સમાપન સ્પીચ કરશે
આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ એ પણ હશે કે કાર્યક્રમના સમાપનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે. આમ એક સાથે બધા વડા ભેગા થાય એ પ્રથમ અને ઐતિહાસિક ઘટના બની રહેશે. અન્ય આકર્ષણની વાત એ છે કે, આ કાર્યક્રમમાં સરદાર પ્રતિમાના સાનિધ્યમાં બંધારણના આમુખની સાક્ષી હેઠળ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કાર્યક્રમ થશે.
જેમાં આ પરિષદને અવિસ્મરણીય અને યાદગાર બનાવશે. લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રિત કરાયા છે. આ પરિષદના આયોજનમાં રાજ્ય સરકારે સંપૂર્ણ પીઠબળ આપ્યું છે.