કુદરતને પણ શું કહેવુ? મહામારીએ કેટલાય બાળકોને અનાથ બનાવ્યા છે ત્યારે બનાસકાંઠામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને એમ થાય કે આ પરિસ્થિતિને શું કહેવુ? કોને દોષ દેવો? કોનો વાંક ગણવો?
કોરોના સામે જનનીની જંગ
દીકરો જન્મ્યો છે આટલું સાંભળી સરોજકુંવરે અંતિમ શ્વાસ લીધા
પુત્રને બેબીકેરમાં રખાયો
કુદરતને પણ શું કહેવુ? મહામારીએ કેટલાય બાળકોને અનાથ બનાવ્યા છે ત્યારે બનાસકાંઠામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને એમ થાય કે આ પરિસ્થિતિને શું કહેવુ? કોને દોષ દેવો? કોનો વાંક ગણવો? એક આશાસ્પદ યુવતી માતા બનવાની હોય અને ડિલિવરી સમયે જ કોરોનાગ્રસ્ત આવે. મા જંગ લડે અને જેવો પુત્રનો જન્મ થાય ત્યારે તેનો રડવાનો અવાજ સાંભળી આંખો મીંચી દે.
દીકરો જન્મ્યો છે આટલું સાંભળી સરોજકુંવરે અંતિમ શ્વાસ લીધા
હા આ કોઈ ફિલ્મની પટકથા નથી પણ એક કોડભરી કન્યા સાથે આ ઘટ્યુ છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામની અને રાજસ્થાનના હડમતીયા ગામે પરણાવેલી સરોજકુંવર કૃપાલસિંહ દેવડા સગર્ભાવસ્થા દરમિયાન સંક્રમિત થઈ હતી. પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને સરોજકુંવરને ધારપુર સિવિલ ખસેડાઈ હતી. જ્યાં સરોજે બેહોશ હાલતમાં દીકરાને જન્મ આપ્યો હતો. ભાનમાં આવ્યા બાદ દીકરો જન્મ્યો છે આટલું સાંભળી સરોજકુંવરે અંતિમ શ્વાસ લીધા. સરોજકુંવરનો મૃતદેહ તેમના વાલીવારસોને સોંપાયો હતો પણ પુત્ર? પુત્રનું શું?
પુત્રને બેબીકેરમાં રખાયો
તાજા જન્મેલા બાળકે માની છત્રછાયા ગુમાવી છે ત્યારે ધારપુર મેડિકલ કોલેજમાં બેબીકેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયું છે. તબીબીનું કહેવું છે કે, સરોજકુંવરનું સિઝેરિયન કરાયું હતું. હાલ બાળક કેર સેન્ટરમાં છે, તેનો કોરોના આર ટીપીસીઆર ટેસ્ટ કરાયો છે, જેનું રિઝલ્ટ એક-બે દિવસમાં આવ્યા બાદ વાલીવારસોને સોંપાશે.
બનાસકાંઠાની મુખ્ય કોવિડ હોસ્પિટલ ફૂલ થઇ છે.. જેના કારણે હોસ્પિટલના ગેટ બહાર સુરક્ષા સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. અને એમ્બ્યુલન્સ સહિત દર્દીઓના વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોરોનાની સારવાર માટે આવતા દર્દીઓ માટે ગેટ પાસે રજિસ્ટ્રેશનની સુવિધા કરવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓનું રજિસ્ટ્રેશન કર્યા બાદ હોસ્પિટલમાં જગ્યા થાય એ પછી જ સારવાર માટે બોલાવાય તેવી સુવિધા ગોઠવવામાં આવી છે. હાલ 126 બેડની સુવિધા સામે 190 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 13,804 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 142 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 5,618 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,61,493 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 142 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6019 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 384 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,00,128 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 476 નવા કેસ નોંધાયા હતા.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5411 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 59 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 2176 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 641 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 546 કેસ, જ્યારે ગ્રામ્યમાં 170 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 626 કેસ અને ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...