કોરોના વાયરસની અનેક પાબંદી વચ્ચે પણ EPFOના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. EPFOના કર્મચારીઓ લોકડાઉન હોવા છતાં પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડી શકશે. દેશના છ કરોડથી વધુ ગ્રાહકો ખાતામાંથી રૂપિયા ઉપાડી શકશે.
શ્રમ મંત્રાલયે EPF ખાતામાંથી ઉપાડની આપી મંજૂરી
લગભગ છ કરોડ ખાતાધારકોને મળશે લાભ
જમા રકમમાંથી 75 ટકા ઉપાડ કરી શકાશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે EPFને લઇને જાહેરાત કરી છે. આ અંગે જારી કરાયેલા જાહેરનામા મુજબ, EPF ખાતામાંથી માન્ય ઉપાડની રકમ શેરધારકના ત્રણ મહિનાના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું અથવા તેના ખાતામાં જમા કરાયેલી કુલ રકમના ચોથા ભાગની રકમથી વધુ ન હોવી જોઈએ. કોરોના વાયરસના રોગચાળાને રોકવા માટે 'લોકડાઉન'ને કારણે લોકોને રાહત આપવા આ પગલું લેવામાં આવ્યું છે.
શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 1952માં સુધારણા સંદર્ભે મંત્રાલયે 28 માર્ચ 2020ના રોજ આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું.
મંત્રાલયના કહેવા મુજબ, જાહેરનામામાં ત્રણ મહિનાનો બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું અથવા EPF ખાતામાં પડેલી રકમમાંથી 75 ટકા, જે પણ ઓછી હોય તેને ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે. શ્રમ મંત્રાલયના જાહેરનામા બાદ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને તેની પ્રાદેશિક કચેરીઓને સૂચના આપી છે. સભ્યોને આ સંદર્ભમાં મળેલી અરજીઓ પર તાત્કાલિક પગલા લેવા જણાવ્યું છે જેથી તેઓ કટોકટીના સમયમાં મદદ કરી શકે.