દિલ્હી હાઈકોર્ટે ફરી એકવાર કોરોના સંકટ અંગે કડક ટિપ્પણી કરી છે, પણ આ વખતે કેજરીવાલ સરકારની જગ્યાએ કેન્દ્ર સરકારને ખખડાવી છે.
કેન્દ્ર સરકાર પર રોષે ભરાઈ દિલ્હી હાઇકોર્ટ
રેમેડિસિવિરના નવા પ્રોટોકોલને લઈને કાઢી ઝાટકણી
દિલ્હી સરકારને પણ ખખડાવી ચૂકી છે દિલ્હી હાઇકોર્ટ
દિલ્હી હાઇકોર્ટે બુધવારે કહ્યું કે એવું લાગે છે કે કેન્દ્ર લોકોને મરતા જોવા ઈચ્છે છે કારણ કે કોરોનાની સારવારમાં રેમેડિસિવિરનો ઉપયોગ કરવા અંગેનો નવો પ્રોટોકોલ મુજબ, ફક્ત ઓક્સિજન પર આધારિત દર્દીઓને જ આપી શકાય છે. આ પ્રોટોકોલ જોતાં દિલ્હી હાઇકોર્ટે મોદી સરકારને ઝાટકણી કાઢી છે.
લાગે છે કે મગજનો ઉપયોગ નથી કર્યો : દિલ્હી હાઇકોર્ટ
જસ્ટિસ પ્રતિભા એમ.સિંઘે કેન્દ્ર સરકારને કહ્યું કે આ ખોટું છે. એવું લાગે છે કે અહીં મગજનો ઉપયોગ જ નથી કરવામાં આવ્યો. હવે જેમને ઓક્સિજનની સુવિધા નથી મળી તેઓ રેમેડિસિવર દવા પ્રાપ્ત કરી નહીં શકે. એવું લાગે છે કે તમે જ ઇચ્છો છો કે લોકો મરતા રહે.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે રેમેડેસિવીરની અછતને પહોંચી વળવા કેન્દ્ર સરકારે પોતાનો પ્રોટોકોલ બદલી નાખ્યો હોય તેવું જણાય છે. કોર્ટે કહ્યું કે આ એકદમ મિસમેનેજમેન્ટ છે. મહત્વનું છે કે કોર્ટ કોરોનાથી સંક્રમિત વકીલની અરજીની સુનાવણી કરી રહી હતી. તેને રેમેડેસિવિરના છ ડોઝના માત્ર ત્રણ ડોઝ જ મળી શક્યા હતા. કોર્ટની દખલને કારણે વકીલને બાકીના ત્રણ ડોઝ મંગળવારે મળ્યા.
કેજરીવાલ સરકારને આડે હાથ લીધી
મહત્વનું છે કે આ પહેલા પણ દિલ્હી હાઈકોર્ટે ઓક્સિજનના અભાવ અંગે સુનાવણી દરમિયાન દિલ્હી સરકાર પર કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કેજરીવાલ સરકારને ઠપકો આપતા કહ્યું હતું કે લાગે છે કે તમારી સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સુપ્રીમ કોર્ટથી લઈને અનેક રાજ્યોની ઉચ્ચ અદાલતોએ કોરોનાના વધતા જતા કેસો અને સરકારો દ્વારા નક્કી કરેલા કોવિડ પ્રોટોકોલના પાલન, ઓક્સિજનના અભાવ અને રેમેડિસવીર ઇંજેક્શનના કાળા બજાર વગેરેના અંગે કડક ટિપ્પણીઓ કરી હતી
મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે ચૂંટણી પંચના અધિકારીઓ પર હત્યાનો કેસ નોંધવો જોઇએ
આ અગાઉ મદ્રાસ હાઇકોર્ટે પણ આવી જ કડક ટિપ્પણી કરી હતી. ચુંટણીપંચની ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું કે જો કોરોનાના વધતા જતા કેસો માટે કોઈને જવાબદાર ગણવું હોય તો તે ચૂંટણી પંચ છે. કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન કોરોના સંક્રમણમાં જે રીતે વધારો થયો છે તે જોતા ચૂંટણી પંચના અધિકારીઓની ઉપર હત્યાનો કેસ દાખલ કરવો જોઇએ.