કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લૉકડાઉન 4 પર ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી. તેઓએ લૉકડાઉન 4.0ને લઇને રાજ્યોના મુખ્યમંત્રીઓના મત જાણ્યા. અમિત શાહે લૉકડાઉન 4.0ની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. ગૃહ મંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે 31 મે બાદ લૉકડાઉન પર તેમના રાજ્યોના શું મંતવ્ય છે અને આગળ તેઓ શું વિચારે છે તેના પર તેમના મત જાણ્યા.
ગૃહ મંત્રી અમિત શાહે લૉકડાઉન 4 પર ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી
નોંધનીય છે કે લૉકડાઉન 4 આગામી 31 મે એ ખતમ થઇ રહ્યું છે. શું દેશમાં લૉકડાઉન 5.0 લાગૂ થશે, હાલ તો સૌની નજર તેના પર છે. જોકે, સરકારનું લૉકડાઉન 5.0 પર મંથન જારી છે. લૉકડાઉન 4 હજુ ખતમ થયું નથી એ પહેલા લૉકડાઉન 5ના ભણકારા વાગી રહ્યા છે. 31 મેએ પીએમ મોદી મન કી બાત કરશે. સૂત્રોનું કહેવું છે કે મન કી બાતમાં પીએમ મોદી કેટલીક સ્પષ્ટતા કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે બે સપ્તાહ માટે લૉકડાઉનનું વધવું લગભગ નક્કી છે.
સરકાર વધારે છૂટ આપીને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની કોશિશ કરતી દેખાઇ રહી છે. જે જિલ્લાઓ કોરોના વાયરસથી વધારે અસરગ્રસ્ત છે તેમને આ વખતે રાહત મળવાની આશા ઓછી દેખાઇ રહી છે. સૂત્રો મુજબ, લૉકડાઉન 5માં 11 શહેરો પર કડક અમલ ચાલુ રહેશે. આ એ શહેર છે જ્યાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.
આ શહેરોમાં લૉકડાઉન જારી રહી શકે છે
જે શહેરોમાં પ્રતિબંધ જારી રહી શકે છે તે દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, પૂણે, ઠાણે, ઇન્દોર, ચેન્નઇ, અમદાવાદ, જયપુર, સૂરત અને કોલકાતા છે. આ 11 શહેરોમાં ભારતમાં કુલ કોરોના વાયરસના સંક્રમણના કેસના 70 ટકા કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ, દિલ્હી, પૂણે, કોલકાતા અને મુંબઇ સ્થિતિ વધારે ખતરનાક છે. અહીં દેશના કુલ દર્દીઓના 60 ટકા લોકો જોવા મળ્યા છે.