ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્યમા કોરોનાના રિકવરી રેટ પર ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરમાં કોરોનાનો રિકવરી રેટ દેશ કરતાં પણ ઓછો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં કોરોનાને લઇને મોટા સમાચાર
અમદાવાદમાં કોરોનાનો રિકવરી રેટ દેશ કરતા ઓછો
રાજ્યમાં વધતા કોરોના પોઝિટિવ કેસોના આંકડા સતત વધી રહ્યાં છે ત્યારે અમદાવાદમાં કોરોનાનો રિકવરી રેટ દેશ કરતા પણ ઓછો હોવાનું સામે આવ્યું છે. શહેરમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ માત્ર 32 ટકા જ છે.
ગુજરાત રિકવરી રેટ 42 ટકા અને દેશમાં રિકવરી રેટ 41 ટકા છે. અમદાવાદના સિવિલમાં ઓછો રિકવરી રેટ છે જે ગંભીર બાબત છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ દર્દીના મોત સિવિલ હોસ્પિટલમાં જ થયા છે.
ઊંચા રિકવરી રેટ મામલે સિવિલના OSD ડોક્ટર પ્રભાકરે ખુલાસો કર્યો છે. OSD પ્રભાકરે કહ્યું કે શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ગંભીર કેસ આવી રહ્યા છે. ગંભીર કેસ આવવાથી સિવિલમાં રિકવરી રેટ ઓછો છે.
અમદાવાદમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1ની ગુણવત્તાના વિવાદ મામલે અસારવા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટે ખુલાસો કર્યો હતો. એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે લોકોના મનમાં ધમણ 1 અંગે ખોટી ગેરસમજ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 કાર્યરત છે. અસારવા સિવિલ ખાતે ધમણ 1નું ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું. તમામ મશીનના ડેમો નિષ્ણાંતો દ્વારા અપાયેલા તમામ સૂચનો બાદ ડેમો પૂર્ણ કરવામાં આવ્યા છે. હવે ધમણ 2 અને ધમણ 3 મોડેલ પણ તૈયાર છે. જલ્દી તેનો પણ ઉપયોગ શરૂ કરવામાં આવશે. જરૂર પડ્યે અપગ્રેશન કર્યા બાદ વિવિધ મોડેલ ઉપયોગમાં લેવાશે.
ધમણ-1 મામલે સરકાર પર કોંગ્રેસના પ્રહાર
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જે વેન્ટિલેટર ધમણને સિવિલના હેડ ડૉક્ટર કોરોનાની સારવારમાં યોગ્ય નથી ગણતાં એની ક્વોલિટી સારી નથી અને તેનો અખતરો કેમ ગુજરાતી પ્રજા પર કરાયો.સિવિલ હોસ્પિટલમાં થયેલાં છેલ્લા મોટા ભાગના મૃત્યુ આ ધમણના કારણે થયા છે. આ ઉપરાંત ચાવડાએ રૂપાણી સરકારને પ્રશ્ન પુછતાં કહ્યું કે સરકારે 4 એપ્રિલ ધમણને ગુજરાતમાં લોન્ચ કર્યું અને તેના ક્વોલિટી સર્ટિફિકેટની પ્રોસેસ 10 દિવસ બાદ 14 એપ્રિલ કરી. અઘુરામાં પુરુ ધમણનો વિવાદ સર્જાતા રાતોરાત સર્ટિફિકેટની પ્રોસેસ એક દિવસમાં પુરી કરી દેવાઈ.
ધમણ-1 અસફળ સાબિત થયુંઃ કોંગ્રેસ
બીજી તરફ ધમણ-1ના વિવાદ મામલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રૂપાણી સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું હતું કે ધમણ-1 વેન્ટિલેટર લોકોના આરોગ્ય માટે સફળ સાબિત થશે તેવી લોકોને અપેક્ષા હતી પરંતુ મુખ્યમંત્રી રૂપાણીના સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ઉતાવળીયું પગલું ભર્યું જેના કારણે આજે દોઢ મહિના બાદ ધમણ 1માં ખામી સર્જાઇ છે. રાજ્યના મુખ્યમંત્રીની આ ગુનાહિત બેદરકારી છે. દોઢ મહિના બાદ રૂપાણીના ઉતાવળીયા પગલાને કારણે ધમણ-1 લોકોને સાજા કરવામાં સફળ સાબિત નથી થયું. આ સાથે જ સવાલ કરતા કહ્યું હતું કે સરકારે એપ્રિલમાં 1 હજાર નવા વેન્ટીલેટર ખરીદવાની જાહેરાત કરી હતી. પરંતુ અત્યાર સુધી કેટલા વેન્ટીલેટર ખરીદવામાં આવ્યા છે તેનો રાજ્યની રૂપાણી સરકાર જવાબ આપે.