વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નોવેલ કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરાઇ છે. વિશ્વમાં કોરોના વાઇરસના સવા લાખથી વધુ કેસ અને ૪,૦૦૦થી વધુ મૃત્યુ નોંધાયા છે. જ્યારે ભારતમાં આ રોગના કુલ ૮૧ કેસ અને બે મોત થયા છે. કેન્દ્ર સરકાર તરફથી મળેલી સૂચનાના આધારે રાજ્ય સરકારે આગામી ૩૧ માર્ચ સુધી તમામ સરકારી કચેરી-સંસ્થામાં યોજાતા વર્કશોપ સેમિનાર તેમજ કોન્ફરન્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
સરકારી કચેરી-સંસ્થામાં યોજાતા તમામ કાર્યક્રમો પર ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ
એરપોર્ટ પર સ્ક્રીનિંગ-ચેકિંગ માટે પેસેન્જર સહકાર નહીં આપે તો પોલીસની લેવાશે મદદ
કોરોના વાઇરસ માટે એપેડેમિક એકટની જાહેરાત કરાઇ
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિના ગઇ કાલે પ્રસિદ્ધ કરાયેલા પરિપત્ર મુજબ વિશ્વમાં તથા દેશમાં ફેલાયેલી કોરોના વાઇરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોઇ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો એકઠા ના થાય તે હેતુથી તાત્કાલિક અસરથી તમામ સરકારી કચેરી અને સંસ્થામાં યોજાતા વર્કશોપ સેમિનાર-કોન્ફરન્સ આગામી ૩૧ માર્ચ, ર૦ર૦ સુધી મોકૂફ રખાશે.
નાગરિકોને પણ સામૂહિક સામાજિક મેળાવડાના નાના-મોટા પ્રસંગ ટાળવાની અપીલ કરાઇ છે. કોરોના વાઇરસ માટે એપેડેમિક એકટની જાહેરાત કરાઇ છે. આ એપેડેમિક એકટ મુજબ કોરોના વાઇરસ સંદર્ભે અફવા ફેલાવનાર લોકો કે સંસ્થાની સામે કાયદેસરના પગલાં લેવાશે.
ફકત સરકાર માન્ય લેબમાં કોરોના વાઇરસના સેમ્પલની ચકાસણી કરાશે અને શંકાસ્પદ કેસની તપાસમાં સહકાર ન આપનાર વ્યકિત સામે પોલીસની મદદ લેવાશે. જિલ્લા કલેકટરને સ્થિતિ અનુસાર સ્કૂલ, ઓફિસ કે પબ્લિક ગેધરિંગ પ્લેસને બંધ કરવા સહિતની સત્તા સોંપાઇ છે.
આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર બે મોટા થર્મલ સ્કેનર મશીન અને ૧પ હેન્ડી ટેમ્પરેચર મશીન સહિત ૧૦ મેડિકલ ઓફિસર અને ર૪ પેરા મેડિકલ સ્ટાફ સહિતની છ ટીમને મ્યુનિ.તંત્ર દ્વારા રાઉન્ડ-ધ-કલોક ફરજ બજાવવા તહેનાત કરાઇ છે. અત્યાર સુધીમાં એરપોર્ટ પર ર૯,૦૦૦થી પેસેન્જરનું થર્મલ સ્કેનિંગ કરાયું છે.