અમદાવાદમાં તહેવારોમાં ખરદીને બહાને કે ફરવાને બહાને ઉમટી પડેલી ભીડે જાણતા અજાણતા કોરોનાને આમંત્રણ આપી દીધુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો આંકડો 6 દિવસમાં 200થી 725 પર પહોંચી ગયો છે.
હાલ સિવિલ હોસ્પિટલમાં 725 દર્દીઓ સારવાર હેઠળ
6 દિવસમાં કોરોનાગ્રસ્તોનો આંકડો 200 થી 725 પર પહોંચ્યો
આગામી દિવસોમાં 1200 બેડની હોસ્પિટલ થઈ શકે છે ફૂલ
અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી છે. સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં 97 કોરોનાગ્રસ્ત દર્દી દાખલ છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 725 દર્દીઓ સારવાર હેઠળ છે. 6 દિવસમાં કોરોનાગ્રસ્તોનો આંકડો 200 થી 725 પર પહોંચ્યો છે. આગામી દિવસોમાં 1200 બેડની હોસ્પિટલ ફૂલ થઈ શકે છે.
દિવાળીના તહેવારો બાદ હવે દર્દીઓ 50 ટકાથી વધી ગયા છે, તેમાં પણ હાલ સામાન્ય દર્દીઓ કરતાં ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ખાલી નવા વર્ષના દિવસે જ 140 નવા કોરોનાના દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ સ્ફોટક સ્થિતિને પગલે 16 નવેમ્બરે આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શિયાળાની શરૂઆત અને તહેવારોની મોસમ જામી છે ત્યારે કોરોના વાયરસથી બચવા માટે ખાસ કાળજી રાખવા માટે ચેતવણી આપવામાં આવી છે. જો કે, આ તમામ પ્રકારની ચેતવણી અવગણીને ગુજરાતીઓ ટહેલવા નીકળી પડ્યા છે.પરંતુ આ તમામ બાબતો વચ્ચે ગુજરાતમાં થોડાક દિવસોથી કોરોના વાયરસ ફરીથી માથું ઊંચકી રહ્યો છે. દિવાળીના તહેવારોની મોસમ જામી છે ત્યારે મહાનગરોમાં લોકો કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાયા હતા ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.
કોરોના અપડેટ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1274 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 91.50 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 54,256 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 6,978,249 પર પહોંચ્યો છે.
કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1281 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,75,362 પર પહોંચ્યો છે. આજે 8 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3823 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 12457 એક્ટિવ કેસ છે, આ કેસ પૈકીના 83 દર્દીઓ સરકારી ચોપડે વેન્ટિલેટર પર છે જ્યારે 12374 દર્દીઓ સ્ટેબલ છે.
પ્રેમચંદનગર સોસાયટીમાં 40 કેસ
કોરોનાનો ત્રીજો તબક્કો શરુ થયો છે, દિવાળીની મજા જનતાની જ સજા બની છે. દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. પશ્ચિમ અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં બોડકદેવમાં આવેલી પ્રેમચંદનગર સોસાયટીમાં 40 કેસ નોંધાયા છે. પ્રેમચંદનગરમાં કેસ વધતા સોસાયટી ક્વોરન્ટાઇન કરવામાં આવી છે. વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારની અનેક સોસાયટીઓમાં કેસનો વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં હવે જનતાએ સાવચેતી રાખીને શક્ય હોય તો ઘરમાં રહેવા મોનાબેન દેસાઈએ જનતાને અપીલ કરી છે.
AMCએ જાહેર કરાયેલી કોવિડ-19 હોસ્પિટલમાં બેડ ખુટી પડ્યા: ડૉ.ભરત ગઢવી
હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સના પ્રમુખ ડૉ.ભરત ગઢવીએ નિવેદન આપ્યું હતું. ડૉ.ભરત ગઢવીએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં 90થી 95 ટકા બેડ ભરાયા છે. AMCએ જાહેર કરાયેલી કોવિડ-19 હોસ્પિટલમાં બેડ ખુટી પડ્યા છે. અમદાવાદ શહેરની 72 હોસ્પિટલ કોવિડ માટે રિઝર્વ કરાઇ છે. 2256 બેડમાંથી 2085 બેડમાં દર્દીઓ દાખલ કરાયા છે. ખાનગી હોસ્પિટલ હવે માત્ર 171 બેડ જ ખાલી પડી છે. આઇસોલેશનમાં 786 દર્દી, તેમાં માત્ર 89 જગ્યા ખાલી છે. HDUમાં 794 દર્દી, તેમાં ખાલી બેડ માત્ર 94 છે. વેન્ટિલેટર વગરના ICU પર 346 દર્દીઓ સારવાર પર, માત્ર 20 બેડ ખાલી છે. વેન્ટિલેટર વિથ ICU પર 156 દર્દીઓ સારવાર પર, ખાલી માત્ર 16 છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત