ચૈત્રી પૂનમના અવસરે ભક્તો પગપાળા પહોંચી રહ્યા છે ચોટીલા, ભક્તોની સેવામાં તંત્ર ખડેપગે, ચોટીલા હાઇવે પર સેવાકીય કેમ્પનું આયોજન
ચૈત્રી પૂનમ નિમિત્તે કેમ્પનું આયોજન
ચોટીલા હાઇવે પર તંત્ર દ્વારા સેવા કેમ્પ
પગપાળા જતા સંઘોને પુરી પાડે છે સેવા
ચૈત્ર માસ એટલે પવિત્ર માસ. આ મહિનામાં માતાજીના નોરતા અને ચૈત્રી પૂનમનું ખૂબ મહત્વ રહેલુ છે.ત્યારે શનિવારે એટલે કે 16 એપ્રિલે ચૈત્રી પૂનમ છે. ત્યારે માર્ગો પર જય જય અંબેના નાદ સાથે ભક્તો પગપાળા માતાજીના દર્શને જઇ રહ્યા છે. ત્યારે વાત કરીએ સુરેન્દ્રનગરમાં આવેલા ચોટીલાની. ચોટીલા જતા ભક્તો માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરુ થઇ ગયા છે. માર્ગો પર હાથમાં ઘજા લઇને માતાજીનું નામ લેતા લેતા પગપાળા સંઘો ચોટીલા તરફ આગળ વધી રહ્યાછે.માઇ ભક્તોને કોઇ અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ શરુ કરવામાં આવી છે.
પગપાળા આવતા શ્રદ્ધાળુઓની સેવા
ચૈત્રી પૂનમના અવસરે માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ચોટીલામાં પણ પૂનમને લઇને ભક્તો પગપાળા નીકળી પડ્યા છે. માઇ ભક્તોને કોઇ અગવડતા ન પહોંચે તે માટે ખાસ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે. શ્રદ્ધાળુઓને જમવા, આરામ કરતા તથા ચા પાણી નાસ્તો સહિતની સેવાઓ આપવામાં આવી રહી છે.
10 વર્ષથી તંત્ર દ્વારા સેવા કેમ્પનું આયોજન
ચોટીલા હાઇવે પર આવેલી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે છેલ્લા દસેક વર્ષથી ચૈત્રી નવરાત્રિ અને પૂનમ દરમિયાન કેમ્પ યોજવામાં આવે છે.મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી દ્વારા ભક્તોને કોઇ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. 24 કલાક સતત અહીં પગપાળા આવતા સંઘ માટે રસોડુ ધમધમે છે.
હજારોની સંખ્યામાં ભક્તો ઉમટશે
સુરેન્દ્ર નગર જિલ્લામાં આવેલુ ચોટીલાધામ. અહીં 64 જોગણીમાના એક અવતાર એવા ચામુંડા મા બિરાજે છે. 1હજાર 173 ફૂટ ઊંચાઇ પર બિરાજિત ચામુંડા મા એ હિંદુઓના કુળદેવી છે. પૂનમના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હોય. આખા ગુજરાતમાં ક્યાંય ક્યાંયથી લોકો માતાજીના દર્શન કરવા ચોટીલા આવે છે. અંદાજિત એક હજાર જેટલા પગથિયા ચઢીને જઇએ ત્યારે માતાજીના દર્શન થાય છે. ડુંગરની ટોચ પર માતાજીનું સ્થાન છે.