નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે તત્કાલીન વડા પ્રધાન ડો.મનમોહનસિંહને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ચીન સામે લાલ આંખ કેમ કરતી નથી? વાસ્તવમાં હવે સમય આવી ગયો છે કે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સ્વયં ચીન સામે લાલ આંખ કરે. કારણ કે ચીને ભારતના સાર્વભૌમત્વને પડકાર્યું છે.
હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના મુદ્દે પૂર્વ પીએમ ડો. મનમોહનસિંહને સંભળવતા હતા ખરીખોટી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મજબૂત છબીનું શું થશે? એ વધુ મજબૂત થશે કે પછી કડડભૂસ તૂટી જશે?
હિન્દુ રાષ્ટ્રવાદની છબી પ્રધાનમંત્રીની સૌથી મોટી મૂડી, એ મૂડી વધશે કે પછી ચીન સામે ખર્ચાઈ જશે?
એટલું જ નહીં ચીને ભારતની ભૌગોલિક સરહદોનું અતિક્રમણ કર્યું છે. સાથે જ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હિંદુ રાષ્ટ્રવાદની એ છબીને પડકારી છે જે તેમની સૌથી મોટી મૂડી છે. નરેન્દ્ર મોદીએ હવે કોઇ પણ સંજોગોમાં ચીનને લાલ આંખ બતાવીને પોતાની આ મૂડી બચાવવી જોઇએ. માત્ર પાકિસ્તાનને જ લાલ આંખ કરવાથી આ મૂડી બચશે નહીં. કારણ કે હવે પાકિસ્તાન દુશ્મન નં.૧નો ટેગ ગુમાવી ચૂકયું છે.
ચીન એકલું જ નથી થોભો, સાથે પાકિસ્તાન પણ છે.
હવે પાકિસ્તાનની સાથે સાથે ચીન પણ ભારત પાછળ ખાઇખપૂચીને પડી ગયું છે અને આ દૃષ્ટિએ પાકિસ્તાન પણ ખતરનાક બનતું જાય છે. કારણ કે હવે પાકિસ્તાન એ કામ કરશે જે ચીન કહેશે. પાકિસ્તાનની તાકાત પણ પહેલાં કરતાં વધી ગઇ છે. કારણ કે ચીનનું તેને ખુલ્લેઆમ સમર્થન છે. આ સંજોગોમાં ચીન સાથે હવે આરપારનો મુકાબલો કરવો જ પડશે. જો ચીન સામે લાલ આંખ નહીં કરવામાં આવે તો હિંદુ રાષ્ટ્રવાદના સિદ્ધાંતને પડકારવામાં આવશે.
સૌથી ચિંતાજનક વાત એ છે કે ચીન હવે બેફામ બની રહ્યું છે અને ભારતની ભૌગોલિક સીમાને ચેલેન્જ કરી રહ્યું છે. ચીને તાજેતરમાં ફરી વાર જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય છે જ નહીં. ચીન ખુલ્લેઆમ કહી રહ્યું છે કે અરુણાચલ પ્રદેશ દિક્ષણ તિબેટનો ભાગ છે. ચીને આ વાત આકસ્મિક સ્તરે કરી નથી, પરંતુ અરુણાચલને લઇને પણ તે ગંભીર છે. ભારતે વાસ્તવમાં ત્યારે જ સતર્ક થઇ જવાની જરૂર હતી જે દિવસે ચીને સત્તાવાર રીતે ભૂતાનના પૂર્વ ભાગ પર પોતાનો દાવો કર્યો હતો.
ભારતની બગલ સમા ભૂતાનને પણ ખૂંચી રહ્યો છે ચીની ચીપિયો
ચીને ભૂતાનના જે ભાગ પર દાવો કર્યો છે તેની સરહદ ચીનને મળતી નથી. આ ભાગ સુધી પહોંચવા માટે ચીનને ભારતમાંથી પસાર થઇને જવું પડશે અને માટે જ ચીન અરુણાચલની સરહદ સાથે જોડાયેલા ભૂતાનના એક વિસ્તાર પર કબજો કરવા ઇચ્છે છે. અરુણાચલ પ્રદેશના મામલે ભારતે હજુ ચીનના આક્ષેપ સામે કોઇ સત્તાવાર નિવેદન કર્યું નથી. ભારતે હવે અરુણાચલને મામલે ચીનને તાત્કાલિક ચેતવણી આપી દેવી જોઇએ કે તે ભારતના અભિન્ન ભાગ અંગે વાત જ ના કરે.
ભારતે હવે ચેતી જવાની જરૂર છે કે ચીન ભારતના કેટલાક ભાગો કબજે કરવા માટે પૂરી તૈયારી સાથે આગળ વધી રહ્યું છે. જોકે ભારતના પક્ષે પણ તૈયારી છે અને સરહદ મામલે લશ્કરી કમાન્ડર સ્તરે વાતચીત ચાલી રહી છે. આવી જ એક વાતચીતમાં ભારતીય બ્રિગેડિયરે ચીનને કડક શબ્દોમાં સુણાવી દીધું હતું. હાલ લદ્દાખમાં વાસ્તવિક અંકુશ રેખા (એલએસી)ના મામલે ભારત-ચીન વચ્ચે મડાગાંઠ ચાલુ છે. બંને દેશો હવે આમને-સામને આવી ગયા હોઇ બંને દેશો વચ્ચે સૈન્ય સ્તરે વાતચીત પણ ચાલી રહી છે.
ભારત અને ચીન વચ્ચે થઈ ચૂકી છે ઘણા રાઉન્ડની વાતચીત
LAC મામલે ભારત અને ચીનના સૈન્ય બ્રિગેડિયર્સ વચ્ચે હોટલાઇન પર થયેલી વાતચીતમાં બંને વચ્ચે ઉગ્ર વિવાદ અને બોલાચાલી થઇ હતી. હોટલાઇન પર વાતચીત દરમિયાન ભારતીય બ્રિગેડિયરે જણાવ્યું હતું કે ચીને કામચલાઉ રીતે પથ્થરોની સુરક્ષાબંધી કરી લીધી છે અને તેનાથી સરહદે તણાવ વધશે. લદ્દાખમાં મુખમરી શિખર પર ચીની સૈનિકોની પહોંચવા માટેની કોશિશને લઇને બંને દેશોના બ્રિગેડિયર્સ વચ્ચે ઉગ્ર વાતચીત થઇ હતી.
હાલ આ શિખર પર ભારતીય સેનાનો કબજો છે. સામે ચીનના બ્રિગેડિયરે પણ જણાવ્યું હતું કે આ તેમની માર્શલ કલ્ચર છે અને ભારતીય સૈનિકોએ પ્રોટોકોલનો ભંગ કર્યો છે. જે રીતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા માટે ભારતીય સેનાને છૂટો દોર અપાયો છે એ રીતનું નિવેદન હવે ભારતે ચીન માટે પણ કરવું પડશે. આ ઉપરાંત વૈશ્વિક મંચ પર પણ ચીનને હવે ઉઘાડું પાડવાની જરૂર છે.