સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાલિબાન નેતાઓને યાત્રામાં મળેલી 90 દિવસની છૂટછાટની સમયમર્યાદા વધારીને 180 દિવસની દરખાસ્ત પર એક પણ સભ્ય દેશનો સહકાર ના મળતા આખરે ચીન નરમ પડ્યુ છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીન પડ્યુ એકલું
તાલિબાનો મુદ્દે સભ્યો દેશોએ સહકાર આપવાનો કર્યો ઈન્કાર
તાલિબાન નેતાઓને યાત્રામાં સમય મર્યાદા વધારવાની મુકી હતી દરખાસ્ત
ચીને 180 દિવસનો પ્રસ્તાવ કમિટી સામે મુક્યો હતો
બે દિવસ પહેલાં ચીને આ મુદ્દે વાતચીત અટકાવી હતી. ચીને સમયમર્યાદાને વધારીને 180 દિવસ કરવાનો પ્રસ્તાવ ભારતની આગેવાનીવાળી કમિટી સામે મુક્યો હતો. ચીને દબાણ બનાવ્યાં બાદ પણ અન્ય દેશોએ આ દરખાસ્તને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. સભ્ય દેશોનું માનવુ છે કે અત્યારે તાલિબાનો પર નજર રાખવાની જરૂર નથી.
યાત્રામાં છૂટછાટની સમય મર્યાદા વધારવા ચીને કરી હતી માંગ
યાત્રામાં છૂટછાટની સમયમર્યાદા વધારવા માટે ચીને એવા સમયે માંગ કરી છે કે જ્યારે તાલિબાને ન્યૂયોર્કમાં ચાલી રહેલા વર્તમાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાનું સ્થાન માંગ્યુ છે. તાલિબાને તેના માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને પત્ર પણ લખ્યો છે અને પોતાના પ્રવક્તા સુહૈલ શાહીની સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનો કાયમી રાજદૂતની પણ નિમણુંક કરી છે. તાલિબાનની આ માંગને હવે યૂએનની ક્રીડેન્શિયલ કમિટીની સામે મુકવામાં આવશે.
તાલિબાન પરથી પ્રતિબંધ હટાવવો સંયુક્ત રાષ્ટ્રના એજન્ડામાં નથી
રશિયાના કાયમી રાજદૂત વૈસિલી નેબેનજિયાએ કહ્યું કે, તાલિબાન પરથી પ્રતિબંધ હટાવવો અત્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એજન્ડામાં નથી. તેમણે વધુમાં કહ્યું કે, આ અંગે વધારે ઉતાવળ કરવાની જરૂર નથી અને કોઈ પગલું ઉઠાવતા પહેલાં તેના પર વિચારવુ ખૂબ જરૂરી છે. મહત્વનું છે કે, તાલિબાન નેતાઓને યાત્રા પ્રતિબંધો પરથી મળેલી છૂટછાટ 20 સપ્ટેમ્બરે સમાપ્ત થઇ છે અને તેથી તેને વધારીને 22 ડિસેમ્બર સુધી કરવાની માંગ કરવામાં આવી હતી.
તાલિબાનોના પ્રવેશ અંગે પાકિસ્તાને લગાવ્યું હતુ જોર
મહત્વનું છે કે, તાલિબાનને આંતરરાષ્ટ્રીય મંચ પર એન્ટ્રી માટે પાકિસ્તાને ખૂબ જોર લગાવ્યું હતું. પહેલા એસસીઓમાં તાલિબાનનું પ્રતિનિધિત્વ લાવવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ સાર્ક વિદેશ મંત્રીઓની બેઠક માટે પાકિસ્તાને તાલિબાની પ્રતિનિધિત્વની માંગને જોશપૂર્વક ઉઠાવી હતી. પરંતુ સાર્ક દેશોએ પણ પાકિસ્તાનની માંગનો અસ્વીકાર કર્યો હતો. બેઠક આ કારણથી રદ્દ થઇ હતી.