IAS અધિકારી કે.રાજેશ પર CBIનો ગાળિયો કસાયો. IAS ઓફિસરને ટ્રાન્સફર થયેલા રૂપિયા મામલે CBI રાજકોટ આવી શકે છે.
IAS અધિકારી કે.રાજેશ પર CBIનો ગાળિયો કસાયો
રાજકોટથી ટ્રાન્ફર થયેલા રૂપિયા CBIના રડારમાં
તપાસમાં રાજકોટના મોટા માથાનું કનેક્શન ખુલી શકે
IAS અધિકારી કે. રાજેશની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. કે. રાજેશ પર CBIનો ગાળિયો કસાયો. રાજકોટથી ટ્રાન્સફર થયેલા રૂપિયા CBIના રડારમાં હોવાના સંકેત સામે આવી રહ્યાં છે.
IAS ઓફિસરને રૂપિયા 60 કરોડ કોણે ટ્રાન્સફર કર્યા તે એક તપાસનો વિષય છે. તપાસમાં રાજકોટના મોટા માથાનું કનેક્શન ખુલી શકે છે. રૂપિયા ટ્રાન્સફરની તપાસ માટે CBI રાજકોટ આવી શકે છે. કે. રાજેશ મોરબી DDO હતા ત્યારથી તેઓ રાજકોટના આગેવાનો અને ધંધાર્થીઓના સંપર્કમાં હતાં.
આ સિવાય ઉલ્લેખનીય છે કે, IAS અધિકારી કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતાં તે સમયે સરકારી જમીનનો ખેલ પાડવાના વિવાદમાં તેઓ ફસાયા હતા. સૌરાષ્ટ્રમાં એરપોર્ટ નજીક 1 હજાર 47 એકર જમીનમાં કે. રાજેશ ફસાયા હતા. આ કેસમાં કે.રાજેશને સજા નહોતી મળી. જ્યારે અન્ય 2 GAS કેડરના અધિકારીને જેલની સજા ફટકારવામાં આવી હતી. આ બોગસ સરકારી દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં કૌભાંડ થયું હતું હતું. જેથી બામણબોરની જમીન મુદ્દે તપાસ થવા પર રાજકોટ કનેક્શન ખુલવાની શક્યતા છે.
રાજકોટના દિગ્ગજ નેતા સુધી તપાસનો રેલો પહોંચી શકે
બીજી બાજુ ગઈ કાલે સુરેન્દ્રનગરની બામણબોરની જમીનના સોદામાં રાજકોટના એક રાજકીય અગ્રણી શંકાના દાયરામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે CBIના તપાસમાં જાણવા મળ્યું હતું કે, બામણબોરની જમીનના વેચાણમાં પણ કંઈક શંકાશીલ મળે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગરના બામણબોરમાં 2000 કરોડની આશરે 800 એકરની જમીનમાં કૌભાંડનો મામલો ચર્ચામાં આવ્યો છે જેનો તપાસનો રેલો IAS કે. રાજેશ અને રાજકોટના દિગ્ગજ નેતા સુધી પહોંચી શકે છે. કાયદાનું ખોટું અર્થઘટન કરીને 800 એકરની જમીનની લ્હાણી કર્યાનો આક્ષેપ છે.
અન્ય અધિકારીઓની પણ સંડોવણી?
તદુપરાંત પૂર્વ IAS કે. રાજેશની અટકાયત બાદ તપાસનો ધમધમાટ ચાલુ છે ત્યારે ભાજપના પૂર્વ સાંસદ સોમા પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે, તેમણે અનેક કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે.
ગુજરાતમાં કૌભાંડી અધિકારી કે રાજેશના કાંડ એક બાદ એક ખૂલી રહ્યા છે અને તપાસ આગળ વધી રહી છે ત્યારે આ સમગ્ર કેસમાં અનેક બીજા કૌભાંડો બહાર આવે તેવી શક્યતા છે. રાજ્યના દિગ્ગજ નેતા સોમા પટેલે મોટો ધડાકો કરતાં કૌભાંડોનું એક આખું લીસ્ટ VTVના માધ્યમથી બધા સામે મૂક્યું છે, સમગ્ર મામલે PM મોદી સમક્ષ આ કેસમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે સોમા પટેલે આ પહેલા પણ આ અધિકારી સામે કાર્યવાહી માટે પત્ર લખ્યો હતો.
સોમા પટેલે ગંભીર આરોપો લગાવતા કહ્યું કે ખાંડીયા ફોરેસ્ટની 900 વીઘા જમીન માત્ર એક રૂપિયાના ટોકને 30 વર્ષના પટ્ટે આપી દેવામાં આવી હતી. આ સિવાય પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં 7 કરોડથી વધારે ખર્ચો બતાવ્યો, જોકે કોઈ પણ PMના કાર્યક્રમમાં દોઢ કરોડથી વધારેનો ખર્ચ તો થાય જ નહીં, જયારે તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીઓએ કહ્યું કે વાઉચર ક્યાં ગયા તે તેમને ખબર જ ન હતી. આ સિવાય CMના કાર્યક્રમમાં પણ 1.19 કરોડનો ખોટો ખર્ચ કર્યો હતો.
મે 141 અરજીઓ કરી હતી: સોમા પટેલ
સોમા પટેલે વધુમાં કહ્યું હતું કે મને પહેલાથી ખબર જ હતી, મેં છેલ્લા 10 મહિનાથી અરજીઓ કરી હતી તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં PM મોદી અને અમિત શાહને અરજીઓ મેં મોકલી હતી. મેં CBIમાં પણ કોપીઓ મોકલી હતી, મેં જે 141 અરજીઓ કરી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે કે હવે આ કૌભાંડીને જેલ કરવામાં આવશે.