દક્ષિણ ગુજરાતમાં ભાજપે રિપીટ થિયરી અપનાવી છે. માત્ર 5 બેઠકો પર જ નવા ચહેરાઓને ભાજપે જાહેર કર્યા છે. જો કે ભાજપ નો રિપીટ થિયરીમાં માને છે. પરંતુ આ વખતે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં રિપીટ થિયરીનો અમલ કર્યો છે.
સુરતની 11 બેઠકમાંથી માત્ર બે જ નવા ચહેરા
ભાજપે મોટા ભાગે મંત્રીઓને કર્યા રિપીટ
દક્ષિણ ગુજરાતમાં AAP બાજી બગાડી શકે
આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં મોટા ભાગે રિપીટ થિયરી અપનાવી છે. આમ તો ભાજપ નો રિપીટ થિયરીમાં માનતું હોય છે. પરંતુ આ વખતે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં રિપીટ થિયરીનો અમલ કર્યો છે. કારણ કે આમ આદમી પાર્ટીના કારણે ભાજપ આ વિસ્તારોમાં કોઇ પણ જાતનું રિસ્ક લેવા માંગતુ નથી. સુરતની 11 બેઠકોમાંથી માત્ર બે બઠકો પર જ નવા ચહેરા જાહેર કર્યા છે. તો બાકીના તમામ ધારાસભ્યને રિપીટ કર્યા છે. સુરત પશ્ચિમ બેઠક પર પૂર્ણેશ મોદીને પણ રિપીટ કરવામાં આવ્યા છે.
ભાજપ ખૂંચતો કણો કાઢી લેશે કે કેમ ?
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વેળાએ પ્રદેસ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલએ સંબોધન કર્યું હતું. આ વેળાએ તેમણે જીત બદલ ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે સુરતમાં આપની 27 સીટ આવી છે. જે આંખમાં કણાની માફક ખૂંચે છે. પરંતુ આગામી વિધાનસભાની ચુંટણીમાં આ કણાને કાઢી નાખવાનો તેમણે કાર્યકરોને વાયદો કર્યો હતો. ત્યારે હવે ભાજપ આ ખૂંચતો કણો કાઢી લેશે કે કેમ ? તે જોવું રહ્યું.
સુરતની બે બેઠકો પર નવા ચહેરા જાહેર કર્યા
ગુજરાત પાટીદાર અનામત આંદોલન વખતે તેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી હતી. અહીં આમ આદમી પાર્ટીએ પણ તેનો લાભ લઇ મોટા પ્રમાણમાં પ્રાચાર-પ્રસાર શરૂ કરી દીધો હતો. જેનો લાભ પણ સુરત કોર્પોશનની ચૂંટણીમાં આપને મળ્યો હતો. જેને લઇ એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે ભાજપ દક્ષિણ ગુજરાતમાં કોઇપણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતુ નથી. અહીં માત્ર 5 જેટલા જ નવા ચહેરા જાહેર કરાયા છે. જેમાં સુરતની બે બેઠકો પર નવા ચહેરા જાહેર કર્યા છે તો વલસાડમાં તમામને રિપીટ કરાયા છે. નવસારીની વાત કરીએ તો એક જ ઉમેદવાર નવો છે. જ્યારે તાપી જિલ્લામાં ભાજપે બે બેઠકો પર નવા ઉમેદવારો જાહેર કર્યા છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મજૂરા વિધાનસભા બેઠક પરના ઉમેદવાર
તો બીજી તરફ સુરતમાં ભાજપે જ્ઞાતિના પણ સમીકરણો ગોઠવ્યા છે. ઉધના વિસ્તારમાં કડવા પાટીદારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ભાજપમાં હારી ગયેલા મનુ પટેલને ટિકિટ આપી છે. તો ઓલપાડ વિસ્તારમાં કોળી પટેલની વસતિને ધ્યાને રાખીને મુકેશ પટેલને ટિકિટ અપી છે. અમરેલી અને ભાવનગર જિલ્લાની વસતિની ધ્યાને રાખીને કામરેજ પરથી લેઉઆ પટેલ પ્રફુલ્લ પાનસેરિયાને ભાજપે ટિકિટ આપી છે. ઉત્તરથી કાંતિ બલરને, વરાછા રોડ પર કુમાર કાનાણી, કરંજ પરથી પ્રવીણ ઘોઘારી, કતારગામથી વિનુ મોરડિયાને ટિકિટ આપવાની સાથે સાથે રાણા સમાજ, ઘાંચી સમાજ સહિતના સમાજોને પણ સાચવી લેવાનો પ્રયાસ કરાયો છે. બીજી તરફ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મજૂરા વિધાનસભા બેઠક પરથી ફરી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે, મજૂરા વિધાનસભા મારો પરિવાર છે.
આમ દક્ષિણ ગુજરાતમાં ભાજપે જ્ઞાતિના સમીકરણો અને રિપીટ થિયરીનો બરાબરનો પ્રયોગ કર્યો છે. બીજી તરફ આ નિર્ણય માથે પડે તેવી પણ આશંકાઓ તજજ્ઞો સેવી રહ્યા છે ત્યારે જોવાનું એ રહેશે ભાજપને ચૂંટણીમાં આનો કેટલો ફાયદો થશે.