મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પ્રકાશ ઝાની વેબ સીરીઝ આશ્રમ-3ના શૂટિંગના વિરોધને લઇને સ્થાનિક ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર આક્રામક થઇ ગયા છે.
સાંસદ પ્રજ્ઞાની ચેતવણી- ભારતમાં સનાતન ધર્મ વિરૂદ્ધ ગડબડ નહીં
આશ્રમ-3ના શૂટિંગ પર શરૂ થયેલા હોબાળા બાદ આક્રામક થયા સાંસદ
ફિલ્મ અને વેબ સીરીઝની સ્ક્રિપ્ટ તપાસવા માટે વિભાગ બનાવશે અખાડા
રવિવારે પ્રકાશ ઝાની વેબ સીરીઝની શૂટિંગમાં બજરંગ દળે કરી તોડફોટ
સોમવારે પ્રજ્ઞાસિંહે સીધુ કહી દીધું કે ભારતમાં રહીને સનાતન ધર્મ સાથે છેડછાડ નહીં ચાલે. તેમણે કહ્યું કે, સાધુ-સંત ફિલ્મ નથી જોતા, પરંતુ હવે તેના માટે અલગથી વિભાગ બનાવવામાં આવશે. હવે કોઈ પણ ફિલ્મ બનતા પહેલા આ વિભાગ તેની સ્ક્રિપ્ટ વાંચશે, ત્યારબાદ જ ફિલ્મ બનાવવાની મંજૂરી આપવામાં આવશે.
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, તેઓ આ અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખશે. તેઓ સીએમને પૂછશે કે ફિલ્મના શૂટિંગની મંજૂરી કેવી રીતે આપવામાં આવી. શું આના માટે પહેલા સ્ક્રિપ્ટ વાંચવામાં આવી હતી.
ફિલ્મ પર મચેલા હોબાળાથી ગુસ્સે ભરાયેલા સાંસદે ચેતવણી આપતા કહ્યું કે, હિન્દુ સનાતન ધર્મની વ્યવસ્થાઓ અને ધર્મને બદનામ કરવાના આ પ્રકારના પ્રયત્નોને મંજૂરી નહીં આપવામાં આવે. જો એવું થયું તો તેમના વિરૂદ્ધ પોતાનો વિરોધ વ્યક્ત કરશે. તેવા લોકો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની પણ ધમકી આપી હતી.
સાંસદ સાધ્વી પ્રજ્ઞા ભારત ભક્તિ અખાડાના મહામંડલેશ્વર છે. સોમવારે અખિલ ભારતીય સંત સમિતિના પ્રતિનિધિમંડળે વેબ સીરીઝ વિરૂદ્ધ પોતાની જાહેરાત આપી અને શૂટિંગ અટકાવવા અપીલ કરી. ત્યારબાદ મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત કરતા સાંસદે કહ્યું કે, તેમનો અખાડો હવે એક વિભાગ બનાવશે.