ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ શનિવારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શરણાર્થીઓને જાન્યુઆરી 2021થી નાગરિકતા આપવાનું શરુ કરી શકે છે.
વિજયવર્ગીયએ ઉત્તર 24 પરગણામાં પાર્ટીના 'આર નોય અન્યાય' (વધુ અન્યાય નહીં) અભિયાન હેઠળ કહ્યું કે પાડોશી દેશોથી આપણા દેશમાં આવી રહેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાના નેક ઈરાદાથી CAA પાસ કરવામાં આવ્યો છે. તેમણે આગળ કહ્યું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યાની શરણાર્થી વસ્તીને નાગરિકતા આપવા માંગે છે.
TMC ઉપર શરણાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ ન રાખવાનો આક્ષેપ
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સંચાલિત પશ્ચિમ બંગાળ સરકાર પર શરણાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ ન રાખવાનો આક્ષેપ કર્યો હતો. વિજયવર્ગીયની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા TMCના વરિષ્ઠ નેતા અને રાજ્ય મંત્રી ફિરહાદ હકિમે કહ્યું કે ભાજપ પશ્ચિમ બંગાળના લોકોને બેવકૂફ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપે પશ્ચિમ બંગાળના લોકોને બેવકૂફ બનાવવાનું બંધ કરવું જોઈએ: TMC
ફિરહાદ હકિમે કહ્યું કે નાગરિકત્વથી ભાજપનો શું અર્થ છે? જો માતુ સમુદાયના લોકો નાગરિક નથી, તો તેઓ દર વર્ષે વિધાનસભા અને સંસદીય ચૂંટણીમાં મત કેવી રીતે આપે છે? હકીમે વધુમાં કહ્યું કે ભાજપે પશ્ચિમ બંગાળના લોકોને બેવકૂફ બનાવવાનું બંધ કરવું જોઈએ.
કોણ છે આ માતુ સમુદાય?
મૂળ પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)ના માતુઓએ 1950ના દાયકામાં પશ્ચિમ બંગાળમાં સ્થળાંતર કરવાનું શરૂ કર્યું, મોટે ભાગે ધાર્મિક દમનને કારણે તેઓ હિજરત કરી ગયા. રાજ્યમાં 30 લાખ વસ્તીવાળા માતુ સમુદાય નાદિયા, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લાઓમાં ઓછામાં ઓછી ચાર લોકસભા બેઠકો અને 30-40 વિધાનસભા મત વિસ્તારોના પરિણામો પર પ્રભાવ પાડે છે.