પંજાબમાં મુખ્યમંત્રી બનનાર ચરણજીત ચન્નીને નહીં પણ આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ ભગવંત માન પર અભિનંદનનો મારો વરસ્યો છે.
AAP નેતા અને અને સાંસદ ભગવંત માન પર ચાલ્યો પ્રશંસાનો મારો
ભગવંત માને CM ચન્નીને પાઠવ્યા મુખ્યમંત્રી બન્યાના અભિનંદન
એક લાઈનના ટ્વિટ બાદ લોકોએ તેમને જાહેર કરી દીધા પંજાબના ભાવી સીએમ
ભગવંત માન પંજાબની સંગરુર બેઠકના આમ આદમી પાર્ટીના લોકસભા સાંસદ છે. ભગવંત માને એક લાઈનનું ટ્વિટ કરીને ચન્નીને મુખ્યમંત્રી બનવાના અભિનંદન આપ્યાં હતા. તેમના ટ્વિટ બાદ તેમને પણ અભિનંદનના મેસેજ મળવા લાગ્યા. વાત સાચી છે, સીએમની ખુરશી કોંગ્રેસના ચન્નીને મળી પણ લોકો તો અભિનંદન અને શુભકામના ભગવંત માનને આપવા લાગ્યા.
એક યુઝરે લખ્યું કે 2022 માં પંજાબના મુખ્યમંત્રી તમે હશો માન સાહેબ. બીજા વ્યક્તિએ લખ્યું કે અરવિંદ કેજરીવાલ સર, AAP માટે ઘણી સારી તક છે. કૃપા કરીને ભગવંત માનને સીએમ પદના ઉમેદવાર જાહેર કરો.
લોકોએ માનને પંજાબના ભાવી સીએમ પણ માની લીધા છે. પરમિંદર નામના યૂઝરે લખ્યું કે જે દિવસે માન સાહેબ સીએમ બનશે તે દિવસે સાચી ખુશી મળશે.
કેમ થઈ રહી છે આવી ચર્ચા
રાજકીય વર્તૂળોમાં ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસનો આ દાવ નિષ્ફળ રહ્યો તો પંજાબમાં આદ આદમી પાર્ટીને જોરદાર ફાયદો થઈ શકે છે.
તેના કારણો છે. હકીકતમાં પંજાબમાં ભાજપ-અકાલી દળનું ગઠબંધન તૂટી ચૂક્યુ છે. આ વખતે અકાલી બસપા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. કોંગ્રેસ પણ આંતરિક ખેંચતાણથી મુશ્કેલીમાં છે અને છેવટે દલિત કાર્ડ ખેલીને ચન્નીને સીએમ બનાવી દેવાયા છે. તેથી જો અરવિંદ કેજરીવાલ દિલ્હી જેવો ચમત્કાર પંજાબમાં કરી દેખાડે તો ભગવંત માનને મોટી જવાબદારી મળી શકે છે.