કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાં મામલે VTV પાસે સૌથી મોટા સમાચાર છે. આશાબેનના રાજીનામામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાના સમાચાર મળી રહ્યા છે. નીતિન પટેલ છેલ્લા 4 મહિનાથી આશાબેન પટેલના સતત સંપર્કમાં હતા. કોંગ્રેસના કાર્યક્રમમાં ઘણા સમયથી આશાબેન ગેરહાજર રહેતા હતા.
જોકે નીતિન પટેલના કાર્યક્રમોમાં તેઓ હાજર રહેતા હતા. મહેસાણામાં કોંગ્રેસની કારોબારી છોડીને તેઓ નીતિન પટેલ સાથે સ્ટેજ પર દેખાયા હતા.
મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલા આશાબેન ભાજપમાં જોડાય તો ભાજપને મજબૂત ઉમેદવાર મળી શકે છે. તો આશાબેનના રાજીનામાનું બીજુ પણ કારણ સામે આવી રહ્યું છે. આશાબેનના જૂથે ઊંઝા APMCમાં પણ સત્તા માટે પ્રયાસ કર્યા હોવાનું જણાઈ રહ્યું છે.
APMCમા સત્તા મેળવવા માટે ભાજપના નેતાઓ સાથે તેમણે બેઠક કરી અને APMC પર સત્તાના બદલામાં રાજીનામું આપવાનું નક્કી થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજીનામા બાદ ઊંઝા APMCમાં આશાબેનના જૂથને સત્તા મળી શકે છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.
હાલ સમર્થકોની નારાજગી વેઠવાના ડરે અન્ય પક્ષમાં જોડાવાનો આશાબેને ઇન્કાર કર્યો છે. જોકે તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાશે તો લોકસભા બેઠક માટેના દાવેદાર પણ છે. કારણ કે 84 કડવા પાટીદાર ઉમેદવારને લોકસભાની ટિકિટ આપવા ભાજપ વિચારણા કરી રહ્યું છે. તો આશાબેનના રાજીનામા મુદ્દે નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં આશાબેનને સન્માન મળ્યું ન હતું. કોંગ્રેસમાં સતત તેમની અવગણા થઈ રહી હતી.