ગુજરાત સહિત આખા દેશમાં રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે ત્યાં બનાસકાંઠામાં 98 ટકા વસ્તીએ રસી લઈ લીધી છે.
બનાસકાંઠામાં રસીકરણની સરાહનિય કામગીરી
45 વર્ષથી વધુ વયના 98 ટકા લોકોએ લીધી કોરોના વેક્સિન
વ્યુહાત્મક આયોજનના કારણે મોટી સફળતા
વિજય નેહરાને સોંપાઈ છે બનાસકાંઠાની જવાબદારી
રસીકરણમાં બનાસકાંઠા દેશભરમાં મોખરે
ગુજરાત સહિત આખો દેશ અત્યારે કોરોના વાયરસ મહામારીથી પીડાઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર છે ત્યારે દેશમાં લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. દુનિયાના મોટા મોટા નિષ્ણાતઑએ પણ કહ્યું છે કે ભારતમાં વધુમાં વધુ લોકોને રસી આપીને જ તેમના જીવ બચાવી શકાય છે ત્યારે ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો અત્યારે દેશભરમાં મોખરે છે.
બનાસકાંઠામાં રસી લેવા માટે લોકોમાં સરાહનીય જાગૃતતા જોવા મળી છે અને રસી લેવા પાત્ર લોકોમાં 45 વર્ષથી વધુ ઉંમરના 98 ટકા લોકોએ રસી લઈ લીધી છે. બનાસકાંઠા જિલ્લાના 6 લાખ 17 હજારની વસ્તીમાંથી 6 લાખ 4 હજાર લોકોએ કોરોના વાયરસની વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે.
IAS વિજય નેહરાને બનાવાયા છે બનાસકાંઠાના જિલ્લાના પ્રભારી સચિવ
નોંધનીય છે કે IAS વિજય નેહરાને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે. એવામાં અધિકારીઓના વ્યૂહાત્મક આયોજનના કારણે રસીકરણનો રેકોર્ડ થયો છે. જિલ્લા કલેકટર તથા પ્રભારી સચિવના માર્ગદર્શન હેઠળ આખું કામ કરવામાં આવ્યું છે. બનાસકાંઠામાં રસી લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે પંચાયત સભ્યો, ધાર્મિક આગેવાનો, દૂધ મંડળીઓ, વ્યાપારીઓ મારફતે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કોરોના વાયરસ કેસ અપડેટ (10 મે, 2021)
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 11,592 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે આજે 117 લોકોના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સતત બીજા દિવસે 117 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8511 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 14,931 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5,47,935 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 792 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે.