મોડાસા તાલુકાની બામનવાડ પ્રાથમિક શાળાની હાલત દયાજનક, 125 બાળકો જર્જરિત શાળામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા, સ્થાનિકોએ શાળાને નોનયુઝ જાહેર કરવા કરી માંગ.
મોડાસા તાલુકાની બામનવાડ પ્રાથમિક શાળા જર્જરિત
બાળકો જર્જરિત શાળામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા
શાળાને નોનયુઝ જાહેર કરીને નવી શાળા બનાવવા કરી માગ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલી બામણવાડ પ્રાથમિક શાળા જર્જરિત બની ગઈ છે તેમ છતાં તંત્ર દ્વારા નોન યુઝ કરવામાં નહીં આવતા માથે ભમતા જોખમ વચ્ચે બાળકો શાળામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
મોડાસા તાલુકાની બામણવાડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના 125 બાળકો ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે. 1948માં બનેલી આ શાળાને આદર્શ શાળામાં પણ સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ શાળાની બિલ્ડિંગ એટલી હદે જીર્ણ થઇ ચૂકી છે કે ગમે ત્યારે નીચે બેઠેલા બાળકો ઉપર છતના પોપડા પડી શકે છે. આખી શાળા જર્જરિત બની છે. શાળાના બારી-બારણા સહિત મકાનના ટેકા માટે મૂકવામાં આવેલા આરસીસી થાંભલાઓમાં પણ મોટી તિરાડો અને ગાબડાં પડી ચૂક્યા છે. દીવાલોમાં મોટી-મોટી તિરાડો પડી જતાં તેમાંથી કીડી, મંકોડા વર્ગ ખંડમાં આવતા માટીથી તિરાડો પુરવામાં આવી છે. ત્યારે આ જર્જરિત શાળામાં આવી હાલતમાં જીવના જોખમે બાળકો અભ્યાસ કરવા મજબૂર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
શાળા સંપૂર્ણ જર્જરિત બની
બામણવાડ ખાતે રહેલા ભરતભાઈ પંચાલના જણાવ્યા અનુસાર, 75 વર્ષ જૂની આ શાળામાં વર્ષ 2001માં સરકાર દ્વારા અપાયેલા 50 હજારના અનુદાનમાંથી મરામત કામ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નહીં આવતા હાલ આ શાળા સંપૂર્ણ જર્જરિત બની છે, એક વર્ષ અગાઉ ગ્રામજનો દ્વારા આ શાળાને નોન યુઝ કરવા માટે તંત્રમાં લેખિત રજૂઆત પણ કરાઈ છે. તેમ છતાં તંત્ર દ્વારા નોન યુઝ જાહેર કરવામાં નહિ આવતા આ ઝુલતા જોખમ વચ્ચે બાળકો ભણવા મજબૂર થયા છે.
સર્વ શિક્ષા અભિયાન સામે અનેક સવાલો
તેઓએ જણાવ્યું કે, આ જર્જરિત શાળા સૌ ભણે સૌ આગળ વધે તેવા સૂત્રને લઇ ચાલતા સર્વ શિક્ષા અભિયાન સામે અનેક સવાલો ઉભા કરી રહ્યું છે, શું આમ ભણશે ગુજરાત? આ વર્ષે શાળાઓને આદર્શ શાળાઓ બનાવવા પાછળ કરોડો ખર્ચાયા બાદ પણ શાળની આ અવદશા આદર્શ શાળાના અભિગમ સામે પણ અનેક સવાલો કરી રહ્યું છે
પ્રાથમિક શાળા નોન યુઝ કરવાની માંગ
બામણવાડના ડેપ્યુટી સરપંચ રોહિતભાઈએ જણાવ્યું કે, મોડાસા તાલુકાની બામનવાડ પ્રાથમિક શાળા નોન યુઝ કરવા માટે તાલુકા સ્તરેથી દરખાસ્ત કરી દેવામાં આવી છે,આ દરખાસ્તને જિલ્લા સ્તરેથી પણ બહાલી આપી દેવામાં આવી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે નજીકના ભવિષ્યમાં આ ઓરડાઓના કાટમાળની હરાજી માટેની કાર્યવાહી હાથ ધરી નિયમાનુસાર શાળાનું નવું બાંધકામ હાથ ધરવામાં આવશે.
સળગતા સવાલ
બામનવાડ પ્રાથમિક શાળાને રિપેર કેમ નથી કરવામાં આવતી?
કોના પાપે બાળકોના જીવ જોખમમાં મુકાયા?
શાળાને નોનયુઝ કેમ જાહેર નથી કરવામાં આવતી?
શિક્ષણ વિભાગને આ શાળા દેખાતી કેમ નથી?
શું શાળામાં અઘટીત ઘટના બનશે પછી જ શાળા રિપેર થશે?
અઘટીત ઘટના બનશે તો જવાબદાર કોણ?
બાળકોના જીવ સાખે રમત કેમ રમવામાં આવે છે?
આદર્શ શાળાની આવી સ્થિતિ માટે જવાબદાર કોણ?