ઓટો સેક્ટરની મંદીથી હેરાન કંપનીઓ સતત ઉત્પાદનમાં ઘટાડો, કામના કલાકો ઓછા કરવા જેવા ઉપાય કરવામાં લાગી છે. હવે હિન્દુજા સમૂહની કંપની અશોક લેલેન્ડે સપ્ટેમ્બરમાં પોતાના પ્લાન્ટ્સમાં 5થી 18 દિવસ સુધી કામકાજ બંધ રાખવાનું એલાન કર્યું છે.
કંપનીએ આ માટે કમજોર માંગને મોટુ કારણ બતાવ્યું છે. કંપની દેશમાં પોતાના તમામ પ્લાન્ટમાં કામકાજના દિવસ ઘટાડી રહી છે. કંપનીએ સૌથી વધારે પંતનગરમાં 18 દિવસો માટે કામકાજ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત અલવરમાં 10 દિવસ, ભંડારામાં 10 દિવસ, એન્નોરમાં 16 દિવસ અને હોસુર પ્લાન્ટમાં 5 દિવસ કામકાજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે દેશની ઓટો ઇન્ડસ્ટ્રી ખરાબ સમયથી પસાર થઇ રહી છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળી રહેલી મંદીને પગલે મારુતિ સુઝુકી ઇન્ડિયાના 3000થી વધારે અસ્થાયિ કર્મચારીઓની નોકરીઓ ચાલી ગઇ છે.
કામકાજ બંધ કરતા પહેલા અશોક લેલેન્ડે પણ કર્મચારીઓને કંપની છોડવા માટે ઓફર આપી છે. પ્રોડક્શન અને વેચાણમાં ભારે ઘટાડાને કારણે એપ્રિલ માસથી અત્યાર સુધી ઓટો સેક્ટરમાં લગભગ 2 લાખથી વધારે નોકરીઓની છટણી કરવામાં આવી છે.
અશોક લેલેન્ડે કાર્યકારી સ્તરના કર્મચારીઓ માટે કંપનીથી અલગ થવાની યોજનાની જાહેરાત કરી છે. આ હેઠળ કંપનીએ કર્મચારીઓ માટે નોટિસ જાહેર કરી સ્વેચ્છિક સેવાનિવૃત્તિ યોજના (VRS) અને કર્મચારી અલગાવ યોજના (ESS) ની ઓફર આપી છે. કંપનીએ આ યોજના એવા સમયે રજૂ કરી છે કે જ્યારે તેના કર્મચારીઓ બોનસ વધારવાને લઇને હડતાળ પર હતા.
47 ટકા ઘટી ગયું અશોક લેલેન્ડનું વેચાણ
અશોક લેલેન્ડ મુખ્યત્વે કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરે છે. કંપનીનું કુલ વેચાણ ઓગસ્ટમાં 47 ટકા ઘટીને 9231 કોમર્શિયલ વાહનોનું રહ્યું. ગત વર્ષે આ માસમાં જ કંપનીએ 17,386 વાહનોનું વેચાણ કર્યું હતું. કંપનીએ એક નિવેદનમાં બતાવ્યુ કે મધ્યમ અને ભારે કોમર્શિયલ વાહનોનું વેચાણ આ માસમાં 5349 એકમ રહ્યું હતું.