ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરુ થઇ ગયો છે. તો બીજી તરફ પાર્ટીનો જૂથવાદ પણ સપાટી પર આવી રહ્યો છે. પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોના રિસામણા મનામણા ચારી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ થવાના એંધાણ વર્તાયા છે. કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઇ શકે છે.
અશ્વિવ કોટવાલ કોંગ્રેસથી નારાજ
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યક્રમોમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી જોવા મળી રહી છે. ગઇકાલે યોજાયેલા આદિવાસી સત્યાગ્રહમાં તેઓ ગેરહાજર રહ્યા હતા. તેમજ વિધાનસભામાં ST વિભાગની ચર્ચામાં પણ ગેરહાજર રહ્યા હતા. પોતે આદિવાસી હોવાથી આ ચર્ચામાં રસ લે અને હાજરી આપે તે મહત્વનું હોય છે. ત્યારે સમગ્ર વિધાનસભા સત્રમાં કોટવાલ નિષ્ક્રિય રહ્યા હતા. જે જોતા લાગી રહ્યુ છે અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ છે. મહત્વનું છે કે વિધાનસભાના વિપક્ષના નેતા ન બનાવતા કોટવાલ નારાજ છે. કોટવાલ છેલ્લા ઘણા સમયથી ગૃહમાં પણ ગેરહાજર રહ્યા છે. છેલ્લા 2 દિવસથી કોટવાલ કોંગ્રેસના નેતાઓના ફોન નથી ઉપાડી રહ્યા.
ભાજપમાં જોડાઇ શકે છે અશ્વિન કોટવાલ
અશ્વિન કોટવાલ ખેડાના ધારાસભ્ય છે. પાર્ટીએ વિપક્ષના નેતા ન બનાવતા નારાજ થયેલા અશ્વિન કોટવાલે ભાજપનો છેડો પકડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પડક્યુ છે. ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે તેવી વાતો વહેતી થઇ છે.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા જ સાંસદ રમિલાબેન બારાએ દિલ્લીમાં ભાજપના નેતાઓ સાથે અશ્વિન કોટવાલની મુલાકાત કરાવી હતી. જે બાદ અશ્વિન કોટવાલે કોંગ્રેસ છોડ્યાની ચર્ચા તેજ થઇ છે.
કોંગ્રેસ દ્વારા મનાવવાનો પ્રયાસ
ભાજપમાં જોડાવાની વાતો વચ્ચે અશ્વિન કોટવાલ અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા બંને સાથે દેખાયા હતા. અરવલ્લીના પ્રવાસ દરમિયાન બંને નેતાઓ સાથે દેખાયા હતા જો કે આ સમયે અશ્વિન કોટવાલે મીડિયા સમક્ષ કંઇ પણ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો . તો આ તરફ સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે અમારા ધારાસભ્યો અમારી સાથે જ છે.
કોંગ્રેસ માટે ચિંતાનો વિષય
મહત્વનુ છે કે ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી છે. જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે
ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.