આસારામ સામે થયેલ દુષ્કર્મ કેસની સુનવણી પૂર્ણતાના આરે હોવાથી હવે આ દુષ્કર્મ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટ 23 ડિસેમ્બરે ચુકાદો આપે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
આસારામ કેસની સુનવણી હવે આખરી તબક્કામાં
ગાંધીનગર સેશન્સ કોર્ટ 23 ડિસેમ્બરે આપી શકે છે ચુકાદો
દસ્તાવેજી પુરાવા પર પણ સુનવણી થઈ છે પૂર્ણ
આસારામ સામે થયેલ દુષ્કર્મ કેસની સુનવણી હવે આખરી તબક્કામાં છે. આ કેસની તમામ સુનવણી પૂર્ણ થઈ હોવાથી જેને પગલે હવે આ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટ આગામી તા. 23 ડિસેમ્બરના રોજ ચુકાદો આપી શકે છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સાક્ષીના તમામ નિવેદનો લેવાઈ ગયા હોવાનું જણાય રહ્યું છે. ઉપરાંત દસ્તાવેજી પુરાવા પર પણ સુનવણી પૂર્ણ થઈ ગઈ છે. અગાઉ આસારામ દ્વારા જામીનની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી.
કોર્ટે ઝડપી કાર્યવાહી માટે કરી છે ટકોર
મહત્વનું છે કે,આસારામ સામે થયેલ દુષ્કર્મ કેસને ઝડપી ચલાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરાયા બાદ કેસમાં બમણી ગતિએ કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત હાઇકોર્ટે પણ આસારામના કેસની સુનવણી ઝડપી ચલાવવાનો નિર્દેશ કર્યો હતો.
શુ છે સમગ્ર મામલો
આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા. એક સગીરાના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશનાં ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કારાવાસની સજા થઈ હતી. ત્યારબાદ સગીરા સાથે રેપનાં આરોપમાં જેલમાં બંધ આસારામ બાપૂને કોર્ટ પાસેથી જામીનની માંગ કરી હતી.
છેલ્લાં 9 વર્ષથી જેલમાં છે આસારામ
અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 9 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.