નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને કેરળ સરકાર અને રાજ્યપાલ આરિફ મોહમ્મદખાન વચ્ચે શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ લેતો નથી. આજથી શરૂ થયેલા કેરળ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને એનઆરસી (NRC) ના વિરોધમાં ભારે હોબાળો અને વિરોધ પ્રદર્શન થયાં હતાં.
કેરળ વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થઇ ગયું છે
રાજ્યપાલ ગૃહમાં પહોંચ્યા તે સાથે જ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ થયા હતા
યુડીએફના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરીને ભાષણનો બહિષ્કાર કર્યો
રાજ્યપાલ આરિફ મોહમ્મદખાન ગૃહમાં પહોંચ્યા તે સાથે જ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ થયા હતા અને તેમને યુડીએફના ધારાસભ્યોએ પ્લેકાર્ડ બતાવ્યા હતા. રાજ્યપાલ જ્યારે મંચ તરફ જવા લાગ્યા ત્યારે યુડીએફના ધારાસભ્યોએ તેમનો રસ્તો રોકી લીધો હતો અને 'ગો બેક' ના નારા લગાવ્યા હતા. ત્યારબાદ માર્શલે તેમના માટે રસ્તો ખાલી કરાવ્યો હતો અને રાજ્યપાલને સીટ સુધી લઈ ગયા હતા. જોકે બાદમાં રાજ્યપાલે પોતાનું ભાષણ શરૂ કરતાં જ યુડીએફના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરીને ભાષણનો બહિષ્કાર કર્યો હતો.
કેરળ વિધાનસભામાં ભારે ધાંધલ-ધમાલ વચ્ચે રાજ્યપાલ આરિફ મોહમ્મદખાને સીએએ વિરુદ્ધ રાજ્ય સરકારના પ્રસ્તાવને વાંચ્યો હતો. જોકે, રાજ્યપાલે અગાઉ પ્રસ્તાવ વાંચવાનો ઈનકાર કરી દીધો હતો, પરંતુ મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનની વિનંતી પર તેમણે આ પ્રસ્તાવ વાંચ્યો હતો. પ્રસ્તાવ વાંચતા પહેલા રાજ્યપાલે વારંવાર પોતાની અસહમતિ પણ વ્યક્ત કરી હતી.
રાજ્યપાલ આરિફ મોહમ્મદખાને કહ્યું કે, હું આ પેરેગ્રાફ (સીએએની વિરુદ્ધ) વાંચવા જઈ રહ્યો છું, કારણ કે સીએમ ઈચ્છે છે કે હું તે વાંચું. જોકે હું માનું છું કે આ નીતિ કે કાર્યક્રમ હેઠળ નથી આવતું. સીએમએ કહ્યું છે કે, આ સરકારનો વિચાર છે અને તેમની ઈચ્છાને માન આપવા માટે હું આ ફકરો વાંચવા જઈ રહ્યો છું.
આ પહેલાં કેરળ વિધાનસભાની અંદર વિપક્ષ યુડીએફના ધારાસભ્યોએ રાજ્યપાલ આરિફ મોહમ્મદખાનનો ઉગ્ર વિરોધ કરીને તેમની સામે 'ગો બેક' અને 'નાગરિકતા કાયદો રદ્ કરો' નાં બેનર પ્રદર્શિત કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, કેરળ દેશનું એવું સૌપ્રથમ રાજ્ય છે, જેણે વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act) વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો હતો.