ભાજપના પ્રવક્તા નુપૂર શર્મા અને અન્ય ભાજપાઈ નેતા નવીન જિંદલ દ્વારા પયગંબર મહોમ્મદ પર કરવામા આવેલી ટિપ્પણી બાદ ઈસ્લામિક દેશોમાં ગુસ્સો રોકાવાનું નામ નથી લેતું.
ભાજપના પ્રવક્તા નુપૂર શર્માની ટિપ્પણીનો વિવાદ
ઈસ્લામિક દેશોમાં ભાજપ વિરુદ્ધ પ્રચંડ ગુસ્સો
કતરમાં ઉપરાષ્ટ્રપતિના ડિનરને કેન્સલ કરી દેવામાં આવ્યું
ભાજપના પ્રવક્તા નુપૂર શર્મા અને અન્ય ભાજપાઈ નેતા નવીન જિંદલ દ્વારા પયગંબર મહોમ્મદ પર કરવામા આવેલી ટિપ્પણી બાદ ઈસ્લામિક દેશોમાં ગુસ્સો રોકાવાનું નામ નથી લેતું. રવિવારે વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય રાજદૂતને બોલાવ્યા બાદ સોમવારે કતારના ડેપ્યુટી અમીર તરફથી ભારતના ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂના સન્માનમાં રાખવામા આવેલા ડિનરને કેન્સલ કરી દીધું છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ રવિવારે દોહાની સત્તાવાર મુલાકાત જવાના હતા.
આરબ દેશોએ કરી નિંદા
જો કે, પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ભારતના ઉપરાષ્ટ્રપતિ નાયડૂની સાથે કતરના ડેપ્યુટી અમીરના ડિનરનો કાર્યક્રમ સ્વાસ્થ્ય કારણોથી રદ કરવામાં આવ્યો છે, તેવું જણાવ્યું છે એવો પણ રિપોર્ટ આવ્યો હતો કે, ડેપ્યુટી અમીર કોરોનાના એક્સપોઝરમાં આવ્યા છે અને તેના વિશે ઉપરાષ્ટ્રપતિ નાયડૂના દોહા પહોંચતા પહેલા ભારતને બતાવી દીધું હતું. આપને જણાવી દઈએ કે, નુપુર શર્માની ટિપ્પણીને લઈને ભારતની પાડોશી દેશ પાકિસ્તાન સહિત સઉદી અરબ, કુવૈત, કતર અને ઈરાને પણ નિંદા કરી છે. આ વિવાદ વધતાં ભાજપે પોતાના પ્રવક્તા પર કાર્યવાહી કરી છે.
ટિપ્પણીને અપમાનજનક ગણાવી
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે ભાજપના પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણીને "અપમાનજનક" ગણાવી છે. સાથે જ કતાર, કુવૈત અને ઈરાને રવિવારે ભારતીય રાજદૂતને બોલાવીને નારાજગી વ્યક્ત કરી હતી. દોહામાં ભારતીય રાજદૂતને વિદેશ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને એક સત્તાવાર વિરોધ પત્ર સોંપવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે કતાર ભારત સરકાર પાસેથી જાહેર માફીની અપેક્ષા રાખે છે અને આ ટિપ્પણીઓની નિંદા કરે છે.
પાર્ટીએ કાર્યવાહી કરી
આ પછી, ભારતીય વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન પણ આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ ટિપ્પણીઓ કેટલાક અરાજક તત્વોની છે અને આ મંતવ્યો સરકારના દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરતા નથી. કતાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનના સંદર્ભમાં ભારતીય રાજદૂતે કહ્યું કે, ટ્વીટ કોઈપણ રીતે ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી. ભારત સરકાર તમામ ધર્મોને સર્વોચ્ચ સન્માન આપે છે. અપમાનજનક ટિપ્પણી કરનારાઓ સામે પહેલાથી જ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
નુપુર શર્માને સસ્પેન્ડ
આ પહેલા પયગંબર મુહમ્મદ પર પાર્ટીના પ્રવક્તાની વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે ચારેબાજુ હુમલાનો સામનો કરી રહેલી ભાજપે આખરે એક મોટું પગલું ભર્યું અને રવિવારે બીજેપી પ્રવક્તા નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી. આ સિવાય નવીન કુમાર જિંદાલને પણ સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક સૌહાર્દ ભડકાવવા બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. પ્રવક્તા નુપુર શર્માની પયગંબર મુહમ્મદ વિશેની ટિપ્પણી પર ભારે હોબાળો અને હિંસા વચ્ચે, ભાજપે કહ્યું કે તે "કોઈપણ ધાર્મિક વ્યક્તિત્વના અપમાનની સખત નિંદા કરે છે".