રાજ્યમાં સતત ઘટી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.
AMTS અને BRTS બસ સેવા ફરી શરૂ થશે
50 ટકા મુસાફરો સાથે સિટી બસ સેવા પૂર્વવત
કોરોનાના નિયમોનું પાલન કરવાનું રહેશે
28મેથી ફરી શરૂ થશે AMTS અને BRTS બસ સેવા
અમદાવાદીઓ માટે રાહતના સમાચાર
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. અચાનક જ વાયરસના કેસમાં આવેલા ઉછાળાના કારણે ઘણા બધા કડક નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં જાહેર બસ સેવા બંધ કરવા જેવા નિર્ણયો સામેલ છે. અમદાવાદના શહેરીજનો માટે AMTS-BRTS બસ સેવા પરિવહન માટેનું મોટું સાધન છે અને દરરોજ હજારો લોકો તેનો લાભ લેતા હતા.
28 મેથી ફરી શરૂ થશે AMTS-BRTS
કોરોનાકાળમાં ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. એવામાં સરકાર દ્વારા આંશિક લૉકડાઉન સાથે છૂટછાટ આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. 28મી મેથી ફરીથી અમદાવાદમાં બસો દોડતી થઈ જશે. લગભગ બે મહિના બાદ અમદાવાદના રસ્તા પર ફરીથી AMTS-BRTS બસો દોડતી જોવા મળશે.
બસમાં કોરોના વાયરસના નિયમોનું પાલન કરવાનું રહેશે
રાજ્યમાં સરકાર દ્વારા થોડી ઘણી છૂટ આપતા હવે AMC દ્વારા પણ બસો શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે કોરોના વાયરસના કેસ ભલે ઓછા થયા હોય પરંતુ કોરોના હજુ ગયો નથી. તેથી જાહેર બસોમાં કોરોના વાયરસની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. બસમાં એક સાથે વધુમાં વધુ 50% મુસાફરો મુસાફરી કરી શકશે તથા માસ્ક વિનાના વ્યક્તિઓને બસમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. દિવસમાં બે વખત બસને સેનેટાઈઝ પણ કરવામાં આવશે.
બસ બંધ થતાં અનેક લોકોને પડી હતી હાલાકી
નોંધનીય છે કે જાહેર બસ સેવા બંધ થઈ જવાના કારણે હજારો અમદાવાદીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના અનેક મધ્યમ વર્ગના પરિવારો રોજબરોજના જીવનમાં બસનો ઉપયોગ કરે છે. બસ સેવા બંધ થઈ જવાના કારણે AMTSની આવકને પણ જોરદાર ફટકો પડ્યો હતો તથા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોની હાલત કફોડી બની હતી. જોકે હવે ફરીથી સેવા ચાલુ થવાના કારણે આ બધા લોકો રાહતનો શ્વાસ લેશે.