અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલા નવા રાજકીય સમીકરણો સર્જાઇ તેવી અટકળો વહેતી થઇ હતી. જેમાં અલ્પેશ ઠાકોર ભાજપના સંપર્કમાં હોવાની અટકળો તેજ બની હતી. ત્યારે આ મુદ્દે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. તમામ અટકળો પર પૂર્ણ વિરામ લગાવતા કહ્યું કે મારી ભાજપમાં જોડાવાની વાત અફવા છે. મજબૂત નેતાને જાણી જોઇને ટાર્ગેટ કરવામાં આવે છે.
મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના સમાચાર વહેતા થયા હતા. એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવી OBC આંદોલનને પૂર્ણ વિરામ આપવાનો દાવ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ હાલ એવી માહિતી મળી રહી છે કે અલ્પેશ ઠાકોર દ્વારા ભાજપમાં જોડાવાની વાત નકારી છે અને અફવા હોવાનું જણાવ્યું છે.
જો કે અવારનવાર અલ્પેશ ઠાકોરની કોંગ્રેસના કાર્યક્રમોમાં ગેરહાજરી પણ જોવા મળતી હતી. ત્યારબાદથી અલ્પેશ ઠાકોર ભાજપની ટોચની નેતાગીરી સાથે સંપર્કમાં હોવાની ચર્ચા વહેતી થઇ હતી. જેને લઇને અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કહી દીધું છે કે મારી ભાજપમાં જોડાવાની વાત અફવા છે અને મને જાણી જોઇને ટાર્ગેટ કરાયો છે.