પક્ષથી નારાજ થઇને કોંગ્રેસના 2 ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધા બાદ ગુજરાતના રાજકારણમાં સન્નાટો છવાઇ ગયો છે. નોંધનીય છે કે, કોંગ્રેસના આ બંન્ને ધારાસભ્યો છેલ્લા કેટલાક સમયગાળાથી પક્ષથી નારાજ હતા. આ ધારાસભ્યો બાલારામના રિસોર્ટ ખાતે પણ ગયા નહોંતા.
ઉલ્લેખનીય છે કે, ત્યારે આજરોજ આ બંન્ને ધારાસભ્યોએ ભાજપની તરફેણમાં મતદાન કરીને પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું. આ સાથે જ આ બંન્ને ધારાસભ્યોનું ભાજપમાં જોડાણ અંગેની અટકળો વહતી થઈ હતી. જો કે, સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ અલ્પેશ ઠાકોરે ભાજપના કાર્યાલય કમલમ ખાતે જવા રવાના થયાં હતા.
જો અલ્પેશ ભાજપમાં જોડાય તો....?
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર જો ભાજપમાં જોડાય તો અલ્પેશ ઠાકોરને રાજ્ય સરકારમાં મળી શકે છે મંત્રી પદ. આ સાથે જ અલ્પેશ ઠાકોરને ફરીથી વિધાનસભાની ચૂંટણી લડવી પડશે અને તે રાધનપુર બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી લડી શકે છે. તો આ સાથે જ રાજ્યસભામાં જવાની પણ અલ્પેશ ઠાકોરને છે આશા. તો તેને સંગઠનમાં મોટી જવાબદારી પણ આપવામાં આવી શકે છે. અલ્પેશ ઠાકોર પેરાશૂટ મંત્રી બને તો ભાજપના સિનિયર ધારાસભ્યો નારાજ થવાની પણ શક્યતા રહેલી છે.
કેવા સંજોગોમાં ગેરલાયક ઠરે ?
કોઈ પણ રાજકીય પક્ષના ચૂંટાયેલા સભ્ય પક્ષમાંથી રાજીનામું આપે
કોઈ પણ ચૂંટાયેલા સભ્ય અન્ય પક્ષમાં જોડાય
પક્ષના નિર્ણય વિરુદ્ધ મતદાન કરે અથવા મતદાન ન કરે
જો અપક્ષ સભ્ય કોઈ પક્ષમાં જોડાય
નોમિનેટેડ સભ્ય 6 મહિનામાં કોઈ પક્ષમાં જોડાય
કેવા સંજોગોમાં ગેરલાયક ન ઠરે ?
રાજકીય પક્ષ સભ્યને 15 દિવસમાં માફી આપે
ઓછામાં ઓછા 1/3 સભ્યો સામુહિક રાજીનામું આપે
1/3થી વધુ સભ્યો સામુહિક પક્ષ બદલે
આખો પક્ષ અન્ય પક્ષ સાથે જોડાણ કરે
સભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદમાં હોય તેને આ નિયમ લાગુ ના પડે