સમાજમાં વ્યાજખોરીનું દૂષણ એટલી હદે લિપ્ત થઈ ગયુ છે કે, આ વિષચક્રમાં ફસાયેલો કોઈ વ્યક્તિ પોતાનો જીવ તજી દેવા મજબૂર થઈ જાય છે. માધ્યમમો પણ રાજ્યના કોઈને કોઈ ખૂણેથી વ્યાજના દૂષણે લીધેલા ભોગના સમાચારો પ્રકાશમાં આવતા રહે છે.
ફરી એકવાર અમદાવાદ શહેરમાં વ્યાજના દૂષણે એક નાગરિકના ઘરબાર, ગાડી અને દાગીના હડપ કરી લીધા છે અને તે વ્યક્તિને ઘરછોડવા મજબૂર કરી દીધો છે. તો કોણ છે એ વ્યક્તિ જેણે કર્યું જીવવું હરામ અને કોણ છે એ વ્યક્તિ જેને છોડવા પડયા ઘરબાર જોઈએ આ અહેવાલમાં....
"હવે જીવી શકું તેમ નથી. બધા લોકો મને બહુ ત્રાસ આપે છે. મારી પાસે મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. બધાંએ મારી પાસેથી મકાન-ગાડી લખાવી લીધાં છે અને બધાંને બધું વ્યાજ આપી ચૂક્યો છું અને જો બધા તને કે સંકેતને હેરાન કરે તો પોલીસમાં ફરિયાદ કરી દેજે અને સુનીલ યાદવ, મનીષભાઈ પટેલ, ભાવિન, મણિભાઈ બાગડીએ મને ખૂબ હેરાન કર્યો છે. આ બધા મારી પાસેથી ર0 ટકા વ્યાજ લે છે, જે હું ભરી શકું તેમ નથી અને હવે મારી પાસે વેચવા જેવું કંઈ નથી તેમજ પ્રવીણ પટેલને 18 તોલા સોનાના દાગીના આપેલા છે. તેમણે એ વ્યાજનું વ્યાજ ગણી લઈ લીધા છે ઉપારંત મારી કાર પણ લઇ લીધી છે"
આ શબ્દો છે શહેરના ઓઢવ વિસ્તારમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલ એક વેપારીના. કે જેઓ પત્ની અને એક પુત્રને મૂકી ઘર છોડીને જતા રહ્યા વ્યાજખોરીના દૂષણથી પીડિત અને પોતાનું સર્વસ્વ ગુમાવી ઘર છોડવા મજબૂર બનેલા જગદિશભાઈએ લખેલી આ વેદના ઘણું કહી જાય છે. ઓઢવ વિસ્તારમાં આવેલ શિરોમણિ એવન્યૂ બંગલોઝમાં રહેતા ર4 વર્ષીય સંકેત પટેલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં પિતા જગદીશભાઈ ગુમ થયા બાબતે તેમજ છ વ્યાજખોર વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. આ મામલે ઓઢવ પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી છે
ઉલ્લેખનીય છે કે, ફરિયાદી સંકેતના પિતા જગદીશભાઈ પટેલ ઓઢવ સીએમસી સામેના તેજદ્ર એસ્ટેટમાં જય ઇન્ડસ્ટ્રીઝ નામે કારખાનું ધરાવે છે. તા.18 જુલાઈના રોજ જગદીશભાઈ રાબેતા મુજબ ઘરેથી જમીને કારખાના પર ગયા હતા. ત્યારબાદ તેમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો, તેમનો પુત્ર સંકેત કારખાના પર ગયો હતો. ત્યાં જગદીશભાઈના ટેબલ પર એક ચિઠ્ઠી પડેલી હતી અને તેમાં હતી વિષચક્રમાં ફસાયાની વેદના...
વ્યાજખોર સુનીલ યાદવ, મનીષભાઈ પટેલ, ભાવિન, મણિભાઈ બાગડીએ તેમને ખૂબ હેરાન કર્યા હતા. એ બધાએ સુનિલભાઈ પાસેથી ર0 ટકા વ્યાજ લઈ શોષણ કર્યું હતુ. આખરે તે વ્યાજ ન ભરી શકતા પ્રવીણ પટેલે જગદીશભાઈ પાસેથી 18 તોલા સોનાના દાગીના અને કાર વ્યાજનું વ્યાજ ગણી લખાવી લીધા હતા. પુત્ર સંકેતે પિતાની નોટના આધારે આધારે છ લોકો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે મનીષ બાગડે અને પ્રવીણ પટેલની ધરપકડ કરી હતી. હજુ આ કેસમાં બીજા ચાર આરોપી ફરાર છે અને પીડિત જગદિશ પટેલની કોઈ ભાળ મળી નથી.
હાલ તો ઓઢવ પોલીસે પીડિત વેપારી જગદિશભાઈને અને ચાર ફરાર આરોપીને શોધવા તપાસ હાથ ધરી છે. આરોપીઓ તો ઝડપાઈ જશે અને કદાચ સજા થશે. પરંતુ સમાજમાં વ્યાપેલા આ દૂષણને કોણ નાથશે તે એક સવાલ છે.