અમદાવાદઃ શહેરમાં સભ્યસમાજને વિચલીત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. નિષ્ઠુર પિતાએ પુત્ર પ્રાપ્તીની ઘેલછામાં પોતાની જ પુત્રીની હત્યાનો પ્રયાસ કર્યો છે. સતત છઠ્ઠી વખત દિકરીનો જન્મ થતાં પિતાએ આ પગલું ભર્યું છે. 4 દિવસની માસુમ બાળકી પર પિતાએ છરીનાં ઘા ઝીંકી દેતાં દિકરીની માતાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો કે દીકરીની હાલત નાજુક હોવાંથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે. તો રખિયાલ પોલીસે પણ ગણતરીની મિનીટોમાં નિષ્ઠુર પિતાની ધરપકડ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે દહેગામ પાસે આવેલા રખિયાલ નજીકનાં મોટી માંસંગ ગામમાં પિતાએ જ પોતાની ચાર દિવસની દીકરીને પેટનાં ભાગે છરીનાં ઘા ઝીંક્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પાંચ દીકરીઓ બાદ છઠ્ઠી દીકરી જન્મ લેતા દીકરીનાં પિતાએ છઠ્ઠી દીકરીને પેટનાં ભાગે ચપ્પુ મારી દીધાં હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અમદાવાદથી થોડેક દૂર આવેલા દહેગામ તાલુકા નજીક આવેલા મોટી માંસંગ ગામમાં આજે એક એવો કિસ્સો બન્યો છે જે સમગ્ર સમાજને હચમચાવી મૂકી દે તેવો કિસ્સો બન્યો છે જેમાં પિતાએ જ પોતાની ચાર દિવસની બાળકીનાં પેટનાં ભાગે ચપ્પાનાં ઘા મારી દીધાં.
આપને જણાવી દઇએ કે વાત માત્ર એટલી જ છે કે પાંચ બાળકીઓનાં જન્મ બાદ દીકરાની ઘેલછાએ પિતાને નરાધમ પિતા બનાવી દીધો અને સમાજમાં શરમજનક બનાવને અંજામ આપી દીધો ત્યારે હાલ તો નરાધમ પિતાની દહેગામ તાલુકાની રખિયાલ પોલીસે અટકાયત કરી લીધી છે. એક તરફ સરકાર બેટી બચાઓ અને બેટી પઢાઓનાં નારાને જોરશોરથી ગાય છે ત્યારે બીજી તરફ સમાજમાં આવાં કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે સમાજમાં આવા બનાવો બનવા પાછળનું એક માત્ર કારણ શિક્ષણની અછત હોવાનાં કારણે સમાજમાં આવા કિસ્સાઓ જન્મ લેતાં હોય છે.
મહત્વનું છે કે હાલ આ ઘાયલ બાળકીને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ત્યારે બીજી તરફ ચાર દિવસની બાળકી જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી આ માસુમ બાળકીનો જીવ બચાવવા સારૂ ડોકટરો પણ તનતોડ મહેનત કરી રહ્યાં છે.