ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં મૃતકોનો આંક વધી રહ્યો છે એવામાં સિવિલમાં વારંવાર બેદરકારી સામે આવી રહી છે. કોરોના વાયરસ હોય તેવા પેશન્ટને દાખલ કરી દીધા બાદ જો તેમનું મોત થઈ જાય તો પણ અઠવાડિયા બાદ હોસ્પિટલ દ્વારા પરિવારને જાણ કરવામાં આવે છે. આ તે કેવું મેનેજમેન્ટ ઘણા દર્દીના મૃતદેહ સીધા શબગૃહમાથી મળી આવ્યા છે વળી પાછી આવી ઘોર બેદરકારી સામે આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી
વૃદ્વાના કોરોનાથી મૃત્યુના 6 દિવસ બાદ પરિવારને જાણ કરી
બહેરામપુરાના નટવરભાઇ પટણીનું 9 મેના રોજ થયું હતું મૃત્યુ
અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. કોરોના પોઝિટિવ વૃદ્વના મોતના 6 દિવસ બાદ પરિવારને જાણ કરવામાં આવી છે. બહેરામપુરાના નટવરભાઇ પટણીનું 9 મેના રોજ મૃત્યુ થયું હતું પરંતુ 14 મેના રોજ પરિવારને આ અંગેની માહિતી આપવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલમાં દર્દીનું મોત થયાના 6 દિવસ બાદ પરિવારને જાણ કરાતા પરિવારના લોકો રોષે ભરાયા છે. દર્દીનું નામ મૃતકોની યાદીમાં એલજી હોસ્પિટલમાં આવ્યું હતું. આ નામ અન્ય હોસ્પિટલમાં કેમનું આવ્યું તે અંગે સવાલ ઉભા થઈ રહ્યા છે.
અગાઉ પણ લોકો થયા છે ગૂમ
કોંગ્રેસના પોરબંદર શહેર પ્રમુખ કેન્સરની સારવાર માટે અમદાવાદ સિવિલમાં આવે છે. કેન્સર હોસ્પિટલમાં દાખલ થાય છે અને તેમનું મોત 4થી મેના રોજ જ થઈ જાય છે. જો કે આમાં સૌથી આશ્ચર્યજનક અને ચોંકાવનારી ઘટના એ બની કે તેમના મોતની જાણ તેમના પરિજનોને હતી જ નહીં. કારણ કે પરિવારના આક્ષેપ પ્રમાણે હોસ્પિટલ સ્ટાફે તેમને આ વિશે કોઈ જાણ જ કરી નહોતી. જ્યારે કોંગ્રેસ પક્ષ આ મામલે હરકતમાં આવ્યો ત્યારે 9 દિવસ બાદ જાણ થઈ કે પ્રવિણ બરુદીનનું તો પહેલાં જ મોત થઈ ચૂક્યું છે અને શબગૃહમાં મૃતદેહ પડ્યો છે. આવામાં ફરી એક વખત અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી સામે આવી છે.
અમદાવાદમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. શહેરમાં કોરોનાના તાંડવ સામે તંત્રની લાચારી વધી છે. અધિકારીઓ બદલાયા છતા સંક્રમણ અટક્યું નહી. શહેરમાં દરરોજ સરેરાશ 260 જેટલા પોઝિટિવ કેસ આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં 8945 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં 3023 કોરાનાગ્રસ્ત દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં અત્યાર સુધી 576 લોકોના કોરોનાથી મૃત્યુ થયુ છે. કોરોના દર્દીઓનો મૃત્યુ દર 6 ટકાથી વધુ છે. હાલમાં 5346 દર્દીઓ સારવાર હેઠળ છે.
કોરોનાની દર્દી ઘરે જ નથી પહોંચી
સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થયા બાદ પણ ઘરે પહોંચ્યા નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ ડિસ્ચાર્જ થયેલી મહિલા ઘરે ન પહોંચ્યા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સિવિલમાંથી ઉષા દાંતનીયા નામની મહિલા લાપતા થઇ છે. તેમના પરિવારે મહિલાની શોધખોળ શરૂ કરી છે. આ અગાઉ 70 વર્ષની મહિલા ગુમ થયા બાદ મૃતદેહ મળ્યો હતો.જો કે લાપત્તા થયેલી મહિલાના પરિવારે ગુમ થવાની પોલીસને ફરિયાદ કરી છે.
ગરીબો અને પરેશાન દર્દીઓ માટે ફાળવાતી ગ્રાન્ટનું શું થતું હશે?
સિવિલમાં ગુજરાતના જ નહિં પરંતુ દેશભરમાંથી લોકો ઈલાજ માટે આવે છે ત્યારે એમ થાય કે, કેમ સિવિલ આટલી રેઢી મૂકી દેવાતી હશે. સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગમાં જવાના અનેક રસ્તા છે મુખ્યદ્વારા સિવાય ઘણા બધા રસ્તે કોઈપણ અંદર પ્રવેશ કરી શકે છે. પોસ્ટમોર્ટમ રૂમના પણ હાલ બેહાલ છે. અહીં પોસ્ટમોર્ટમ રૂમના હાલ પણ કંઈ ખાસ સારા નથી. વળી રેકોર્ડને નામે ખાલી ચોપડા ભરવા ખાતર જ કાગળિયા થતા હોય તેવો ઘાટ છે. દર્દી ખોવાઈ જાય એ સમજાય પણ અહીં કોઈ ગુનેગાર વરસોના વરસ પડ્યો રહે તો પણ કોઈ પૂછવા વાળુ હોતુ નથી.
વૃદ્ધા પણ થઈ હતી ગૂમ
સિવિલ હોસ્પિટલમાં 1 મેના રોજ સારવાર લેવા માટે આવેલા દર્દી ગુમ થયા હતા. શહેરની સિવિલ હોસ્પિટલમાંથી 70 વર્ષના વૃદ્ધા ગુમ થયા છે. મળતી માહિતી મુજબ કોરોના ટેસ્ટને લઈને પરિવારને દર્દી પાસેથી દૂર રખાયો હતો. ત્યારે હવે પરિવારે વૃદ્ધા ગુમ થયા અંગેની શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.. આ સાથે પોલીસ અને પરિવારે વૃદ્ધની શોધખોળની હાથધરી હતી જેમાં સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી લાશ મળી આવી હતી.