અમદાવાદમાં બુલેટ ટ્રેન કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે બુલેટ ટ્રેનનું પ્રથમ સાબરમતી સ્ટેશન ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે.
અમદાવાદમાં બુલેટ ટ્રેનનું પહેલા સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે
શહેરમાં સાબરમતી રેલવે સ્ટેશનનું કામ પૂરું થવાની તૈયારીમાં
352 કિલોમીટરનો આ રૂટ ગુજરાતના 8 જિલ્લાઓમાંથી પસાર થશે
અમદાવાદમાં બુલેટ ટ્રેનને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મુંબઈને જોડતી બુલેટ ટ્રેનનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે હાઈસ્પીડ રેલ રૂટના પ્રથમ સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે છે.
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના રૂટમાં પહેલું સાબરમતી સ્ટેશન આવે છે જે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. એ માટે 1.36 લાખ વર્ગ મીટર વિસ્તારમાં 9 માળની ઈમારત બનાવવામાં આવી છે. આ બિલ્ડિંગ હાઇસ્પીડ રેલ લાઇનના નોર્થ ટર્મિનલના રૂપમાં કામ કરશે. તો અહીં 1200 ગાડીઓનું પાર્કિંગ, હોટલ અને ટેરેસ ગાર્ડન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના કામમાં ગતિ આવી છે. બુલેટ ટ્રેન માટે સેગમેંટલ ગર્ડર ઈરેકશનની શરૂઆત કરવામાં આવી છે. વટવામાં સેગમેંટલ ગર્ડર ઈરેકશન શરૂ કરાયું છે. મહત્વનું છે કે, મુંબઈ-અમદાવાદ વચ્ચે 508 કિ.મી.લાંબી પહેલી હાઈસ્પીડ રેલ લાઈન શરૂ થશે. 352 કિલોમીટરનો આ રૂટ ગુજરાતના 8 જિલ્લાઓમાંથી પસાર થશે. ગુજરાતના તમામ 8 જિલ્લાનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
મુંબઈથી અમદાવાદના માર્ગમાં આવતી જમીન સંપાદન કરવાના આદેશને પણ મંજૂરી આપી દેવાઇ છે
ઉલ્લેખનીય છે કે, આ સાથે તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં સરકાર બદલાતાની સાથે મહારાષ્ટ્ર સરકારે પણ મુંબઈથી અમદાવાદના માર્ગમાં આવતી જમીન સંપાદન કરવાના આદેશને મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે, આ મામલો છેલ્લા કેટલાય સમયથી ગત સરકારમાં પેન્ડિંગ હતો. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને રાજ્ય સરકારની મંજૂરી મળી રહી ન હતી. જે આ નવી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રની નવી સરકારે તાજેતરમાં મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેનને લઈ અમલીકરણ એજન્સી, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ સાથે શેરહોલ્ડર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાતમાં દાદર અને નગર હવેલીમાં જમીન સંપાદનની કામગીરી કરવામાં આવી છે. આ સ્થળોએ લગભગ 1000 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કુલ 1396 હેક્ટર જમીન સંપાદિત કરવાની છે, જેમાંથી 1264 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. બાકીના મોટાભાગના મહારાષ્ટ્ર સાથે સંબંધિત છે. આ માટે કેન્દ્ર દ્વારા વન વિભાગ હસ્તકની જમીન પર કામ કરવા માટેની તમામ મંજૂરીઓ મળી ગઈ છે.
આ સાથે વન વિભાગની જમીન સિવાય મહારાષ્ટ્રમાં 42 ટકા જમીન નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHRCL) દ્વારા સંપાદિત કરવામાં આવી છે. આ જમીન લગભગ 182 હેક્ટર છે. આ મંજૂરી બાદ NHRCLને હવે મહારાષ્ટ્રમાં લગભગ 278 હેક્ટર જમીન મળી ગઈ છે, જે લગભગ 65 ટકા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ મહારાષ્ટ્રમાં 433.82 હેક્ટર જમીન સંપાદન કરવાની હતી. જેમાંથી અત્યાર સુધીમાં 80 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. બાકીની જમીનમાં અનેક પ્રકારના અવરોધો હતા.
સત્તા પરિવર્તન બાદ મહારાષ્ટ્ર સરકારે લીધો હતો મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી કરવામાં આવ્યું છે. મહાવિકાસ અઘાડીની સરકાર વખતે જમીન સંપાદનનું કામ અટકી ગયું હતું. બુલેટ ટ્રેન માટેનું ટર્મિનસ સ્ટેશન મુંબઈમાં BKC ખાતે બનવાનું છે. તેની 4 હેક્ટર જમીનની રચના પછી, હવે સ્ટેશનની ડિઝાઇન અને નિર્માણ માટે દરખાસ્તો મંગાવવામાં આવી રહી છે. આ બુલેટ ટ્રેન કોરિડોરનું અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા અનુસાર, BKC જમીન સપ્ટેમ્બરના અંત સુધીમાં NHRCLને સોંપવામાં આવશે.