અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ સ્માર્ટ લર્નિંગ અને સ્માર્ટ સ્કૂલની વાતો કરી રહી છે, પરંતુ વીટીવી ન્યુઝના રિયાલિટી ચેકમાં સ્માર્ટ સ્કૂલની વાતો પોકળ સાબિત થઇ છે. અમે તમને જણાવશું એક એવી શાળા વિશે, જ્યા 600 વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણી રહ્યા છે અને સ્કૂલ બોર્ડ ત્યાં ડાફેળ પણ મારતું નથી.
600થી વધુ બાળકોના જીવ જોખમમાં :
મહાનગપાલિકા દ્વારા સ્માર્ટ સ્કૂલની વાતો કરવામાં આવે છે પરંતુ ગોમતીપૂર વોર્ડમાં આવેલી સુન્દરમનગર ઉર્દુ શાળા નંબર-2 જોતા સ્માર્ટ સ્કૂલની વાસ્તવિકતા દેખાઈ આવે છે. પતરા વાળી આ ઉર્દુ શાળામાં કુલ 12 ક્લાસ રૂમ આવેલા છે અને તમામના પતરા તૂટેલી હાલતમાં છે. ગમે ત્યારે આ પતરું તૂટીને જો નીચે પડે તો બાળકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. જ્યારે વીટીવી ન્યુઝ દ્વારા સ્કૂલનું રિયાલિટી ચેક કરતા 600થી વધુ બાળકો જીવના જોખમે અભ્યાસ કરતા નજરે પડ્યા હતા.
કોર્પોરેશનનું કરોડોનું બજેટ ક્યાં વપરાય છે?
કોર્પોરેશન આ સરકારી શાળાઓ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ આ રૂપિયા ગયા ક્યાં? છેલા 1 વર્ષથી આ તમામ બાળકો જીવના જોખમે અભ્યાસ કરે છે. એટલું જ નહીં વરસાદમાં તૂટેલા પતરાની છતમાંથી પાણી બાળકો પર પડે છે, પરંતુ સ્કૂલ બોર્ડ કે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું. વીટીવી ન્યુઝના અહેવાલ બાદ સ્કૂલ બોર્ડના સભ્ય અને સુપર વાઇઝર તાત્કાલિક ઉર્દુ શાળાએ પહોંચ્યા હતા અને સ્કૂલનું નિરીક્ષણ કર્યું હતું. તો સ્કૂલ બોર્ડના સભ્ય નાગજી દેસાઈએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્કૂલ બોર્ડ માત્ર સરકારી કાર્યક્રમોમાં શિક્ષકો ભેગા કરવાનું કામ કરે છે. આવી શાળાઓમાં બાળકોને પડતી હાલાકી તેમની નજરે ક્યાંથી આવે.
અહેવાલ બાદ સ્કૂલ બોર્ડ સભ્ય દ્વારા સ્કૂલ બોર્ડને શાળામાં સમારકામ કરવા અને નવું બિલ્ડીંગ બનવવા પત્ર લખવામાં આવ્યો છે, પરંતુ સ્કૂલ બોર્ડના ચેરમેન તેમની કામગીરીની વાસ્તવિકતા સામે આવતા મીડિયાને જવાબ આપવનું ટાળ્યું હતું, ત્યારે આ મોતની શાળાને AMC ક્યારે બહાર લાવે છે તે જોવાનું રહ્યું.