ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ ( AIIMS ) પર ડેટા ચોરીના પ્રયાસ બાદ ભારતીય રેલ્વેમાં સંભવિત ડેટા ચોરીના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે રેલ્વે કે કોઈ સરકારી અધિકારી દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પ્રાપ્ત અહેવાલો અનુસાર, હેકર્સે રેલવે ટિકિટ બુક કરાવનારા 3 કરોડ લોકોનો ડેટા ચોરી લીધો છે. તેમાં ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, સરનામું, ઉંમર અને લિંગ સહિતની અંગત માહિતીનો સમાવેશ થાય છે.
આ 3 કરોડ લોકોના ડેટાની ચોરી
એક રાષ્ટ્રીય અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ હેકર ફોરમે 27 ડિસેમ્બરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. હેકર ફોરમની વાસ્તવિક ઓળખ જાહેર કરવામાં આવી નથી પરંતુ તે 'શેડો હેકર' તરીકે ઓળખાય છે. આરોપ છે કે. આ હેકર ફોરમ 3 કરોડ મુસાફરોનો આ ડેટા ડાર્ક વેબ પર વેચી રહી છે. હેકર જૂથે કહ્યું કે, તેની પાસે ભારતીય રેલ્વેમાં ટિકિટ બુક કરાવનારા ત્રણ કરોડ લોકોના ઈમેલ અને મોબાઈલ નંબર સહિતની અંગત માહિતી છે. હેકર જૂથે એવો પણ દાવો કર્યો હતો કે, તેણે અનેક સરકારી વિભાગોના અધિકૃત ઈમેલ એકાઉન્ટની ચોરી કરી છે.
મહત્વનું છે કે, અગાઉ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, AIIMS દિલ્હીના સર્વર પર રેન્સમવેર એટેક એક કાવતરું હતું અને મહત્વપૂર્ણ દળો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રેન્સમવેર હુમલામાં સાયબર ગુનેગારો ડેટા અથવા ઉપકરણની ઍક્સેસને લોક કરે છે અને ઇચ્છિત ખંડણી ચૂકવ્યા પછી તેને અનલૉક કરવાનું વચન આપે છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય, દિલ્હી સાયબર ક્રાઈમ સ્પેશિયલ સેલ, ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર, ઈન્ટેલિજન્સ બ્યુરો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, નેશનલ ક્રિટિકલ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર અને ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ વગેરે રાષ્ટ્રીય તપાસ એજન્સી આ સાયબર હુમલાની તપાસ કરી રહી છે.