રાજ્યમાં હાલ લગ્નગાળો પૂરો થવાની તૈયારીમાં છે. શરણાઈના શૂર ધીમે ધીમે શમી રહ્યા છે પરંતુ લગ્નગાળાની આ મોસમમાં અને બેન્ડવાઝાની ધૂનમાં એક બારાત વિસરાઈ ગઈ. ગયા વર્ષે ઠીક આવા જ લગ્નગાળા દરમિયાન ભાવનગર જિલ્લાના એ અનિડા ગામેથી નીકળેલી જાન ન માંડવે પહોંચી કે ન ગામમાં પાછી ફરી. સરકારે મૃતકોના પરિજનોને આર્થિક સહાય તો આપી પરંતુ તેમને અન્ય ગામમાં વસાવવાનું વચન ભૂલી જવાયું છે. સ્વજનો ખોઈ બેઠેલા પરિવારજનો રોજ રોજ સરકારી કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે.
ભાવનગર જિલ્લાના અનિડા ગામના આ ઘરના દ્વારા તોરણથી શણગારેલા હતા. એ ગરીબ ઘરના આંગણે નખાયેલા માંડવે લીલા તોરણ બંધાયા હતા. સૂનકાર ભાસતા આ ઘરમાં તે સમયે ખુશીનો માહોલ હતો. કેમકે આ ઘરનો એક દીકરો વરરાજા બની પરણવા ગયો હતો. વિજય પ્રવીણભાઈ નામના યુવાનની જાન અનિડાથી ગઢડાના ટાટમ જવા નીકળી હતી. પરંતુ જાણે કુદરતને તે મંજૂર ન હતું. અનેક અરમાનો સાથે નીકળેલી જાનને રંઘોળા પહોચતા સુધીમાં તો જાણે કાળમુખો કાળ આંબી ગયો. જાનૈયા ભરેલો ટ્રક પુલ પરથી ખાબક્યો. ઘડીભરમાં તો લગ્નનો આનંદ દિશાઓ ચીરી નાખતા આક્રંદમાં ફેરવાઈ ગયો. લગ્નગીતો મરશિયામાં ફેરવાઈ ગયા. લગ્નનો હરખ માતમમાં ફેરવાઈ ગયો. જાનૈયા ભરેલો ટ્રક પુલ પરથી ખાબકતાં 42 જાનૈયાઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. હારબંધ ખડકાયેલી લાશોને જોઈ કોઈનું પણ દીલ થંભી જાય તેવી ગમગીની પ્રસરી ગઈ હતી. જોત જોતામા આ દુર્ધટનાના વાવડ સમગ્ર રાજ્યમાં પ્રસરી ગયા.
આ ઘટના પછી સરકાર અને સ્થાનિકતંત્ર એક્શનમાં આવ્યું હતું. કેન્દ્રીય વાહનવ્યહાર મંત્રી મનસુખ માંડવીયા અને અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી. મૃતકના પરિવારોને સાંત્વના આપીને મૃતકોના પરિજનો માટે અનેક યોજનાઓની જાહેર કરી હતી. આ સમયે સરકારે મૃતક પરિવારોને પ્રથમ 4 લાખની સહાયના અને બાદમાં 2 લાખની સહાયના ચેક પણ આપ્યા હતા. સાથે સાથે મૃતકના પરિવારજનોને આ ગામ અન્યત્ર વસાવા મકાનની સહાય અને પ્લોટ આપવાની પણ જાહેરાત કરી હતી.
આ ઘટનાને હવે એક વર્ષ પૂરું થવા આવ્યું છે તેમ છતાં સરકારે પીડિતોને પ્લોટ ફાળવ્યા નથી જેથી લોકોમાં રોષ જાગ્યો છે. અનિડા ગામની વસતિ આમ પણ ખૂબ ઓછી છે જાનમાં 42 લોકો મૃત્યુ પામ્યા બાદ લગભગ દરેક ઘરમાંથી એક કે બે સભ્યો ઓછા થયા છે.
સામાન્ય દિવસોમાં પણ આ ગામમાં સૂનકાર ભાસે છે. અહીં દરેક ઘરમાંથી એકાદ સભ્ય ગુમાવ્યાની ગોજારી યાદ પરિવારજનો વિસરી શક્યા નથી. વળી અનિડા અંતરિયાળ હોવાના કારણે બાળકોને અભ્યાસમાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે પરિવારોને હવે અનીડા ગામે રહેવું નથી પરંતુ શિક્ષણ, રસ્તા અને આરોગ્ય જેવી સુવિધાઓ જે જગ્યાએ મળતી હોય ત્યાં જવાની માંગ કરી રહ્યા છે.
એક સાથે 42 સભ્યો ગુમાવ્યાની ઘટનાને અને સરકારે આપેલા વચનોને હવે એક વર્ષ પૂરું થવાની તૈયારી છે. પરંતુ સરકારે પીડિત ગ્રામજનોને પ્લોટ આપવાની કરેલી જાહેરાત આજ સુધી કાગળ પર જ રહી છે. જેની યાદ અપાવવા ગામના આગેવાનોએ સામાજિક કાર્યકરોને સાથે રાખીને કલેક્ટરને આવેદન આપ્યું હતું. અનિડા ગામના 15 જેટલા પરિવારોએ પાલિતાણા અને ઘોડી ઢાળ પાસે પ્લોટ ફાળવવાની માંગણી કરી છે. સરકાર દ્વારા આ પરિવારજનોને પ્લોટ આપવાની વાતનો જિલ્લા વિકાસ અધિકારીએ સ્વીકાર કર્યો છે. પરંતુ આ ગામના લોકોને સમાવી શકે તેવા ગામની શક્યતા અંગે હાલ સર્વે ચાલી રહ્યો હોવાનું જિલ્લા વિકાસ અધિકારી જણાવી રહ્યા છે.
આ ઘટનામાં મૃતકોને સરકારે તાત્કાલિક સહાય આર્થિક સહાય કરી હતી. પરંતુ મૃતકના પરિવારોને પ્લોટ આપવાની કરાયેલી જાહેરાત આજે સરકારી તંત્રમાં અભેરાઈએ ચડી ગઈ છે. આજે એક વર્ષ બાદ પણ લાભાર્થીઓ સરકારી કચેરીમાં ફૂટબોલની માફક ફંગોળાઇ રહ્યા છે. ત્યારે જો હવે તાકીદે સહાય નહીં અપાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.