આમ આદમી પાર્ટીના કાર્યકરોની અનોખી પહેલ. કોરોનાકાળમાં દર્દીઓ માટે શરૂ કર્યા આઇસોલેશન સેન્ટર
સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત
AAP દ્વારા શરૂ કરાયા આઇસોલેશન સેન્ટરો
વિવિધ સંસ્થા સાથે મળી શરૂ કર્યા 6 સેન્ટર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમીએ કેટલીક બેઠકો પર વિજય મેળવ્યા બાદ સ્થાનિકોની મદદ કરવાનું કામ યુધ્ધના ધોરણે હાથ ધર્યું છે. હાલ કોરોનાના કેસમાં થયેલા ઉછાળાને પગલે રાજ્યભરમાં કોવિડ બેડ અને આઇસોલેશન સેન્ટરની જરૂરીયાત ઉભી થઇ છે. આવા સમયગાળામાં દર્દીઓ માટે આઇસોલેશન તૈયાર કર્યું છે.
મળતી જાણકારી પ્રમાણે, સુરતમાં કોરોનાના કહેર વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા આઈસોલેશન સેન્ટર શરૂ કરાયા છે. વિવિધ સંસ્થાઓ સાથે મળી AAP પાર્ટીએ 6 આઇસોલેશન સેન્ટર શરૂ કર્યા છે.
25 બેડની સુવિધાવાળા આઇસોલેશન સેન્ટર
આમ આદમી પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવે આ આઇસોલેશન સેન્ટર 25 બેડની સુવિધાવાળા છે. દર્દીઓના મનોરંજન માટે LED સ્ક્રીન પણ મુકાઈ છે. આ સેન્ટરમાં AAPના કોર્પોરેટરો અને કાર્યકરોની સાથે ડોક્ટરોની ટીમ તૈનાત કરાઈ છે. નાસ્તો અને બે સમયના ભોજન સાથે તમામ વ્યવસ્થાઓ કરાઇ છે. ઓક્સિજન સુવિધા સાથે ઇન્જેક્શનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
દર્દીઓના મનોરંજન માટે એક એલઇડી સ્ક્રીન મુકાઇ
સુરતના યોગીચોક વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ આઇસોલેશન સેન્ટરમાં તમામ સુવિધાઓ આપવામાં આવી છે. જ્યાં 12 જેટલા બેડ ઓક્સિજન યુક્ત છે સાથે 12 બેડ ફક્ત આઇસોલેશન માટે રાખવામાં આવ્યા છે. સુરતનું આ એક એવું આઇસોલેશન સેન્ટર છે જ્યાં દર્દીઓ માટે એક એલઇડી સ્ક્રીન મુકવામાં આવી છે જ્યાં તેમના કથાની સાથે સાથે અનેક ધાર્મિક પ્રવચનો સંભળાવવામાં આવે છે, દર્દીઓ માટે સવારે ચા, નાસ્તો, બે સમયનું ભોજન, જ્યુસની વ્યવસ્થા વગેરે પણ દર્દીઓ માટે કરવામાં આવી છે. આઇસોલેશન વોર્ડમાં 12 ડોક્ટોરોની ટીમો કામ કરી રહી છે. એક આઇસોલેશન સેન્ટર ઉપર 2 ડોક્ટરો નિયમિત હાજર રહે છે, દર્દીઓની દવાથી લઇ ઇન્જેક્શન સુધીની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,403 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 117 લોકોના મોત નિપજ્યા છે આ સાથે જ 4,179 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 117 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5494 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 341 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 68,754 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4207 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1879 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 484 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 436 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 663 કેસ અને ગ્રામ્યમાં 98 કેસ નોંધાયા છે.