ગુજરાતમાં કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. અહીં 2001ની ઘટના બાદ તો નાના મોટા આંચકા સામાન્ય થઇ ગયા છે. તેવામાં આજે નવસારીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. નવસારીના વાંસદામાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ડરનામાર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 હોવાનું જાણવા મળ્યું છે. ભીનાર ગામે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું. સરકારી કચેરીઓ સહિત રહેણાંક વિસ્તારના લોકો બહાર નીકળી ગયા હતા. ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
કચ્છમાં ભૂકંપ
મહત્વનું છે કે 3 ઑગષ્ટના રોજ ભૂકંપમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 13 કિલોમીટર દૂર નોંધાયું હતું.મહત્વનું છે કે 21 જુલાઇના રોજ પણ કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ ઉપર 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો દોડતા થયા હતા. દૂધઈથી 18 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતું. જ્યારે 13 જુલાઇના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક તરફ કચ્છમાં ધોધમાર વરસાદ અને બીજી તરફ ધરા ધ્રુજી ઉઠતા કચ્છવાસીઓના માથે આફત આવી પડી હતી. રિકટેર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. લખપતથી 51 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગ તરફથી જાણવા મળ્યું હતું.
નર્મદામાં ભૂકંપનો આંચકો અનુભવાયો
16 જુલાઇએ નર્મદા જિલ્લાના કેવડિયા નજીકની ધરા ધણધણી હોવાનુ સામે આવ્યું હતું. કેવડિયા નજીક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.સરદાર સરોવર ડેમથી 30 કિલોમીટરના વિસ્તારમા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને રિક્ટર સ્કેલ ઉપર 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું હતું. નોંધનીય છે કે બપોરે 2 વાગ્યા આસપાસ સ્થાનિક લોકોને ભૂકંપનો આહેસાસ થયો હતો. જેને લઇને આ પંથકના બહુમાળી ઇમારતોમાંથી લોકો નીચે ઉતરી આવ્યાં હતા. ઉપરાંત સાંકળી શેરીઓમા ભૂકંપ બાદ લોકો બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને પગલે પ્રવાસીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો.