પ્રમોશનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત આપવાના મુદ્દે સ્પષ્ટતા માંગવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કેન્દ્રનું કહેવું છે કે જાન્યુઆરી 2020 સુધીમાં લગભગ 1.3 લાખ પ્રમોશન અટકેલા પડ્યા છે.
પ્રમોશન સ્થગિત થવાના કારણે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે રોષ છે. સરકારે વિનંતી કરી છે કે મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવાથી તેને અસ્થાયી ધોરણે પ્રમોશન આપવામાં આવે. સરકારે કહ્યું છે કે 78 વિભાગમાંથી 23 વિભાગમાં પ્રમોશનનું કામ અટકી ગયું છે.
સરકારનું કહેવું છે કે ગયા વર્ષે 15 એપ્રિલના રોજથી જૈસે થે સ્થિતિ જાળવવાના આદેશને કારણે અનામત અને સામાન્ય વર્ગમાંના તમામ પ્રમોશન સંપૂર્ણ રીતે અટકી ગયા છે.
સરકારી નોકરીઓમાં અનામતનો દાવો કરવો એ મૂળભૂત અધિકાર નથી: અદાલત
સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામત અંગેના નિર્ણય સામે થોડા મહિના પહેલા સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અરજીમાં સુપ્રીમ કોર્ટને આ નિર્ણય પર પુનર્વિચારણા કરવા કહેવામાં આવ્યું છે કે સરકારી નોકરીઓમાં અનામતનો દાવો કરવો એ મૂળભૂત અધિકાર નથી. તેથી કોઈપણ અદાલત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC-ST) ને અનામત આપવા રાજ્ય સરકારોને નિર્દેશ આપી શકે નહીં.
પ્રમોશનમાં અનામત આપવી કે નહીં તેનો નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે
જસ્ટીસ નાગેશ્વર રાવ અને હેમંત ગુપ્તાની ખંડપીઠે કહ્યું હતું કે "કાયદાની નજરમાં આ કોર્ટને કોઈ શંકા નથી કે રાજ્ય સરકાર અનામત આપવા માટે બંધાયેલી નથી." પ્રમોશનમાં અનામત દાવો એ મૂળભૂત અધિકાર નથી. પ્રમોશનમાં SC STને અનામત આપવી કે નહીં તે સંપૂર્ણ રીતે રાજ્ય સરકારોની મરજી પર છે. તેથી રાજ્ય સરકારો ફરજિયાતપણે તેનો અમલ કરવા માટે બંધાયેલી નથી.