રાજધાની દિલ્હી એક તરફ યમુના નદીમાં આવનારા પૂરની આશંકાથી ફફડી રહી છે ત્યારે શનિવારથી વરસી રહેલા ધોધમાર વરસાદે બળદગાડાં ચલાવતા લોકોને ધૂમ કમાણી કરાવી દીધી છે. હકીકતમાં મૂશળધાર વરસાદના કારમે હાલ દિલ્હીના અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તેમાંથી પસાર થવું લગભગ અશક્ય બની ગયું છે. આજે પણ વહેલી સવારથી અનેક અંડરપાસ નજીર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
બળદગાડાં ચલાવતા કેટલાક લોકોએ આ સ્થિતિનો અને દિલ્હીવાસીઓની મજબૂરીનો આબાદ ફાયદો ઉઠાવ્યો છે અને તેઓ અંડરપાસ પસાર કરાવવાના મનફાવે તેવા ભાવ વસૂલી રહ્યા છે. ખાસ કરીને પ્રહલાદપુરમાં આવેલા રેલવે અંડરપાસ પસાર કરાવવાનો ભાવ સૌથી વધુ વસૂલાયો હતો. પગપાળા જઈ રહેલા લોકોએ મજબૂરીમાં, કોઈ અન્ય વિકલ્પ ન હોવાથી બળદગાડાંવાળાને 100 રૂપિયા સુધી ચૂકવ્યા હતા. કેટલાંક બાઈકસવારોને પણ અંડરપાસમાંથી બહાર નીકળવા માટે બળદગાડાંનો સહારો લેવો પડ્યો હતો. બાઈકચાલકોએ તો 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો ભાવ ચૂકવવો પડ્યો છે.
કેટલાંક લોકોએ ટ્રાફિક પોલીસ અને પોલીસને પણ બળદગાડાંવાળાઓની આ દાદાગીરીની ફરિયાદ કરી હતી, પણ પોલીસ તેમની કોઈ મદદ કરી શકી ન હોતી. આજે સવારથી સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકોએ આ વાતનો બળાપો કાઢ્યો હતો અને અંડરપાસવાળા રસ્તા છોડીને અન્ય વૈકલ્પિક માર્ગ પસંદ કરવાની અપીલ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત સપ્તાહે જોરદાર વરસાદના કારણે અનેક અંડરપાસ જળબંબાકાકાર થઈ ગયા હતા.
એ સમયે પણ કેટલાંક ટ્રેક્ટરચાલકોએ અંડરપાસ પસાર કરાવી આપવાના મનફાવે તેવા ભાવ વસૂલ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી ફરી એ જ વિકટ પરિસ્થિતિનો સામનો દિલ્હીવાસીઓ કરી રહ્યાં છે. બીજી તરફ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થયેલા અતિભારે વરસાદની સીધી અસર રાજધાની દિલ્હી પર પણ જોવા મળી છે.
યમુના નદીમાં જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયા બાદ હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી રવિવારે 8.72 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે આજે સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જાય તેવી શક્યતા છે. દિલ્હીવાસીઓ માટે સૌથી ચિંતાજનક વાત એ છે કે, યમુના નદીમાં આટલું પાણી પહેલાં ક્યારેય પણ છોડવામાં આવ્યું નથી. વર્ષ 1978માં જ્યારે યમુના નદીમાં સૌથી વિનાશક અને ભીષણ પૂર વહ્યું હતું ત્યારે હરિયાણાથી સાત લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.