ગઇકાલે અમરેલીના ખાંભા પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેવામાં હવે આગામી દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન
સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ
કુદરતનો કહેર ચૌતરફ જોવા મળી રહ્યો છે. એક તરફ લાંબા સમયથી કોરોના કાળના લીધે લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા છે તો બીજી તરફ કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવી દીધો છે. ત્યારે હવે ગુજરાતમાં આગામી 2 દિવસમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યના વાતાવરણને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 12 કલાકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંક ભાગોમાં સાંજના સમયે વરસાદી છાંટાથી લઇને ઝાપટા પડી શકે છે, તેમજ આગામી ચાર દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. વરસાદની આગાહીને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બેવડી ઋતુથી ખેતીને નુકસાન થવાની સંભાવના છે.
તો ગુજરાતમાં પણ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને લઇને હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મોરબી, કચ્છ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી છાંટાથી લઇને ઝાપટા પડવાની શક્યતા છે. તો આગામી 4 દિવસોમાં ગરમીનો પારો વધવાની પણ શક્યતા છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તો 48 કલાક પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠામાં હિટવેવ રહેશે. સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વાતાવરણ પલટો આવશે.
મહારાષ્ટ્રમાં આગામી 4 દિવસ આવશે ભારેથી-અતિભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રના મોટાભાગમાં હવામાન ઉપરતળે થઇ રહ્યું છે. ઉનાળાની ગરમી અને ઉકળાટ વચ્ચે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે. તો આગામી 4 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાની શુભાંગી ભૂતેએ એવી માહિતી આપી હતી કે, હાલ મરાઠવાડા અને તેની નજીકના આકાશમાં 1.5 કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સાથે મરાઠવાડાથી કર્ણાટક, તેલંગણા અને રાયલસીમા થઇને તામિલનાડુના સમુદ્રકાંઠા ઉપર આકાશમાં 0.9 કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો વિશાળ પટ્ટો પણ સર્જાયો છે.
આવાં બદલાયેલાં કુદરતી પરિબળો સાથે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 35 થી 40 ડિગ્રી જેટલો ઉકળતો નોંધાઇ રહ્યો છે. બપોરે તાપમાન વધુ હોવાથી જમીન ગરમ થઇ જાય અને પરિણામે વરાળનો વિપુલ જથ્થો વાતાવરણમાં ઘુમરાઇને આકાશમાં પહોંચે. વરાળનો તે જથ્થો સાંજના ઠંડા વાતાવરણમાં પાણીનાં અસંખ્ય બિંદુઓમાં પરિવર્તિત થઇ જાય. પરિણામે સાંજે તે બધાં જળ બિંદુઓ વર્ષાના સ્વરૂપમાં વરસે. સાથોસાથ ગાજવીજનો માહોલ પણ સર્જાય. આમ આવું તોફાની હવામાન ખરેખર તો સ્થાનિક પરિબળોને કારણે પણ સર્જાતું હોય છે.
હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે, આવતા ચાર દિવસ દરમિયાન મહારાષ્ટ્રના મોટાભાગમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે હળવી વર્ષાનો માહોલ સર્જાય તેવી શક્યતા છે. કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં હવામાનમાં આવા અકળ ફેરફાર થવાની સંભાવના છે.
આવતા 24 કલાક દરમિયાન મુંબઇનું ગગન વાદળિયું રહે તેવી શક્યતા છે. મહત્તમ તાપમાન 33-34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24-25 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા છે. આજે કોલાબામાં મહત્તમ તાપમાન 34.4 અને લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન 33.2 અને લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ 81-74 ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ 67-63 ટકા જેટલું વધુ નોંધાયું હતું.