કચ્છના પેરીસ ગણાતા મુન્દ્રામાં ઘરફોડ ચોરીના બનાવમાં મુંદરા પોલીસે શકમંદ તરીકે પકડેલા ગઢવી યુવાનનું પોલીસ લૉકઅપમાં મૃત્યુ થઈ જતા ચકચાર મચી છે. આ ઘટનામાં 3 હેડ કોન્સ્ટેબલ સામે મૃતકને ગેરકાયદે ગોંધી રાખી, કસ્ટડીમાં ભયાવહ શારીરિક દમન ગુજારી હત્યા કર્યાનો ગુનો નોંધાયો છે.
પોલીસે યુવકને ગોંધી રાખીને હત્યા કરી હોવાના આરોપ
મુન્દ્રા પોલીસના 3 પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો દાખલ
શક્તિસિંહ ગોહિલ, અશોક કનાડ, જયદીપસિંહ ઝાલા સામે ગુનો દાખલ
મુન્દ્રા નજીક આવેલા સમાઘોઘામાં ગામમાં થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં શંકાને આધારે મૃતક યુવાન અરજણ ખેરાજ ગઢવીને 12મી જાન્યુઆરીની સાંજે મુન્દ્રા પોલીસે ઉઠાવ્યો હતો ‘પ્રાગપર પાટિયે તમારું પાર્સલ આવેલ છે’ તેમ કહી તેને ઉપાડી જવાયો હતો. ત્યારબાદ હતભાગી યુવાનને પૂછપરછ કરવામાં આવી હતી.ચાર દિવસથી ચાલતી પૂછપરછ બાદ મૃતક અરજણ ગઢવીને પોલીસે છોડ્યો ન હતો.
આ અંગે મૃતક અરજણ ગઢવીના ભાઈઓને જાણ થતાં તેમણે તેમના કૌટુંબિક ભાઈ અને એડવોકેટ દેવરાજ ગઢવી અને સ્થાનિક આગેવાન સાથે 16મી જાન્યુઆરીની સવારે મુંદરા પોલીસ મથકે તપાસ કરવા પહોંચ્યા. તે સમયે પોલીસ સ્ટેશનના એક રૂમમાં શક્તિસિંહ ગોહિલ નામનો પોલીસ કર્મચારી અરજણની પૂછપરછ કરતો હતો.
‘હવે મારી લિમિટ પૂરી થઈ ગઈ છે.
અરજણ નીચે જમીન પર બેઠો હતો. તે સમયે મૃતક અરજણે પોતાના ભાઈઓને પોતા પર થતા દમનની વાત કરતા કહ્યું કે ‘તેણે કોઈ ચોરી કરી નથી. છતાં આ ત્રણેય કોન્સ્ટેબલોએ તેને ખૂબ માર માર્યો છે. ગુદાના ભાગે પેટ્રોલના પોતા ભરાવે છે અને શૉક આપે છે’ અરજણે તેનો પગ બતાડતાં તે ખૂબ સુઝી ગયેલો હતો. તેણે કહ્યું હતું કે ‘હવે મારી લિમિટ પૂરી થઈ ગઈ છે. હું ચાલી પણ શકતો નથી. એક પોલીસવાળો મારીને જાય એટલે બીજો પોલીસવાળો આવીને માર મારે છે’
પોલીસ અત્યાચારી દમનથી મૃત્યુ નીપજ્યું
સમગ્ર ઘટના ત્યારે બહાર આવી કે જ્યારે મુન્દ્રા પોલીસની માર થી મૃતક અરજણ ગઢવીનું મોત થયું ત્યારે મુન્દ્રા પોલીસના એ ત્રણે આરોપી કર્મચારી મૃતક યુવાન અરજણ ગઢવી ને હોસ્પિટલ લઈ ગયાને ત્યાં કહ્યું કે આ મોત હાર્ટ એટેકથી નીપજ્યું છે તેવું જણાવી અરજણના મૃતદેહને સરકારી દવાખાનામાં મૂકીને નીકળી ગયા હતા! પોલીસ અત્યાચારી દમનથી મૃત્યુ નીપજ્યું હોવાનું બહાર આવતાં ગઢવી ચારણ સમાજમાં ભારે આક્રોશ ફેલાતા સમાજના આગેવાનોએ જવાબદાર પોલીસ કોન્સ્ટેબલો સામે ફરિયાદ ના નોંધાય ત્યાં સુધી ઈન્ક્વેસ્ટ ભરવા દેવાનો ઈન્કાર કરી દીધો હતો.
અરજણની જેમ બીજા બે ગઢવી યુવકોને પણ ગેરકાયદે ગોંધી રખાયાં
પોલીસે મધરાત્રે એફઆઈઆર રજિસ્ટર કરી હતી. ચોરીના ગુનામાં અરજણની જેમ બીજા બે ગઢવી યુવકોને પણ ગેરકાયદે ગોંધી રખાયાં હોવાનું બહાર આવ્યું હતું. ગઢવી સમાજે બંને યુવકોને મુક્ત કરવા માંગણી કરતાં પોલીસે હરજુગ હરિભાઈ ગઢવી અને શામરા પબુ ગઢવી નામના બે યુવકોને મુક્ત કર્યાં હતા. આ બંને પર પણ સખત દમન ગુજારાયું હતું. એક જણ તો ચાલી પણ શકતો નહોતો. બેઉને ભુજની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી અપાયાં હતા.
કસ્ટોડિયલ ડેથના બનાવથી પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં ખળભળાટ
થર્ડ ડિગ્રી ટોર્ચરથી શકમંદ યુવકના કસ્ટોડિયલ ડેથના બનાવથી પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં ખળભળાટ મચી ગયો છે. પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સિંઘે જણાવ્યું કે, ‘મૃતકના પરિવારજનો એ જે રજૂઆત કરી હતી તે મુજબ અમે ત્રણે કોન્સ્ટેબલ વિરુધ્ધ હત્યા (આઈપીસી 302) અને ત્રણ કે તેથી વધુ દિવસ સુધી ગેરકાયદે ગોંધી રાખવા (આઈપીસી 343)ની કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી લીધી છે.
પોલીસ કર્મચારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરાશે
હતભાગીના પગ સહિતના અંગોમાં ઈજાના નિશાન જોવા મળ્યાં હતા. જો કે, તેનું મૃત્યુ ખરેખર કયા કારણોસર થયું તે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સ્પષ્ટ થશે. પોલીસ પીએમ રીપોર્ટની રાહ જોઈ રહી છે. એફઆઈઆરમાં દર્શાવાયેલી વિગતો મુજબ સઘન તપાસ કરી, ગુનાનો હેતુ સ્પષ્ટ કરી તેમજ જરૂરી પૂરાવા એકત્ર કરી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરાશે’ અહીં મહત્વનું છે કે મૃતક યુવાન દોષી હોય તો પણ તેને સજા આપવાનો કામ કોર્ટ નો છે.પરંતુ સત્તા ના નશામાં ધૂત આવા બેજવાબદાર પોલીસ કર્મચારી પાસે કોઈ વ્યક્તિ ને મોત આપવાના અધિકાર નથી.