વર્લ્ડ બેંકે ભારતીય અર્થવ્યવસ્થામાં મોટું ગાબડું પડવાની આશંકા વ્યક્ત કરી છે. વર્લ્ડ બેન્કના અનુમાન પ્રમાણે ભારતીય અર્થવ્યવસ્થામાં નાણાકીય વર્ષ 2020-21માં 9.6% જેટલો ઘટાડો થવાની આશંકા છે.
વર્લ્ડ બેંકના કહેવા પ્રમાણે કોરોના વાયરસને કારણે ભારતીય અર્થવ્યવસ્થાની હાલત 1991 સુધી ચાલેલા બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઈસીસ કરતા પણ વધુ ગંભીર છે. વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ, દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થામાં 7.7% ઘટાડો થવાની ધારણા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો હશે. વર્લ્ડ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ હેંસ ટિમરે કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા તેની સૌથી ખરાબ સ્થિતિમાં છે. આ બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઈસીસ કરતા પણ ખરાબ છે.
પ્રારંભિક લોકડાઉન આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ
ટિમરે કહ્યું કે ભારતમાં પ્રારંભિક લોકડાઉન ખૂબ જ સખ્ત હતું જે આ ઘટાડાનું એક મુખ્ય કારણ છે. પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે, ભારતીય અર્થવ્યવસ્થામાં 25% નો ઘટાડો જોવા મળ્યો હતો. નિષ્ણાંતોએ અર્થવ્યવસ્થામાં આ અનુમાનિત ઘટાડાને જોખમી ગણાવ્યા છે. ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસો પણ આ પાછળનું એક મહત્વનું કારણ છે.
શહેરી વિસ્તારમાં ગરીબીમાં વધારો કર્યો છે
આ મહામારીએ શહેરી વિસ્તારમાં ગરીબીમાં વધારો કર્યો છે. વિશ્વ બેંકે અપેક્ષા રાખી છે કે નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં, અંદાજિત વૃદ્ધિ દર 5.4% હશે.
ટિમરે કહ્યું કે આ મહામારીમાં સાબિત થયું છે કે ભારતે ફેડરલ પોલિસીઝ વિશે વિચાર કરવો પડશે, ખાસ કરીને ઇન્ફોર્મલ સેક્ટર માટે. ટિમરે વધુમાં કહ્યું કે ભારતમાં ઇન્ફોર્મલ સેક્ટરના લોકોને ટેકો આપવા માટે કોઈ સિસ્ટમ નથી. કોરોના વાયરસને કારણે ગરીબોને ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આ મહામારીથી ઇન્ફોર્મલ સેક્ટરના કર્મચારીઓની આવક ઉપર સૌથી મોટો ફટકો પડ્યો છે. તેમની પાસે આ સમયમાં બચવા માટે કોઈ ઇંશ્યોરન્સ કે સેવિંગ્સની પણ વ્યવસ્થા નથી.