જામનગર: આગામી 20 ડિસેમ્બરે જસદણની પેટાચૂંટણી યોજાશે. કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે અવસર નાકીયાને જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન રાજીવ સાતવ જસદણની પેટાચૂંટણીને લઈને પ્રચારની સમીક્ષા પણ કરશે.
આપને જણાવી દઇએ કે જસદણમાં કોળી અને પાટીદાર મતદારોનું ખાસ પ્રભુત્વ રહેલું છે. બાવળિયા કોંગ્રેસમાંથી છ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા છે. જેમાંથી પાંચ વખત જીત્યા છે. એટલું જ નહીં લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે ઝંપલાવ્યું હતું. જો કે તાજેતરમાં તેઓ ભાજપમાં જોડાઇ જતાં ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જસદણ બેઠક જીતવા માટે એડીચોર લગાવી દીધું ત્યારે આજે કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ જસદણ બેઠક માટે સમીક્ષા કરવાના છે. ત્યારે સ્થાનિક કોંગ્રેસી આગેવાનોએ પણ ચૂંટણી અંગેની પોતાની તૈયારીઓ અંગે ચર્ચા કરશે.