લૉકડાઉન દરમિયાન કેટલા શ્રમિકોએ જીવ ગુમાવ્યા? સોમવારે શરૂ થયેલ સંસદના મોનસૂન સત્રમાં વિપક્ષે આ સવાલ મુદ્દે સરકારને ઘેરી છે. જો કે, વધુ ઘમાસાણ તો ત્યારે મચી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો કે, આ મામલે કોઇપણ ડેટા ઉપલબ્ધ નથી.
લૉકડાઉન દરમિયાન કેટલા શ્રમિકોએ જીવ ગુમાવ્યા?
સંસદમાં સરકારે આપ્યો જવાબ
જો કે, ત્યારબાદ શુક્રવારે, સરકારને ફરી એકવાર પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે લોકડાઉન દરમિયાન લેબર સ્પેશિયલ ટ્રેનોમાં કેટલા લોકોના મોત થયા હતા. રાજ્યસભામાં આ સવાલના જવાબમાં સરકારે કહ્યું કે 9 સપ્ટેમ્બર સુધીમાં કુલ 97 લોકોએ જીવ ગુમાવ્યો છે.
97 લોકોનાં મોત નીપજ્યાં છે
રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયન દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રેલવે પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે, 9 સપ્ટેમ્બર સુધીમાં કુલ 97 લોકોનાં મોત નીપજ્યાં છે. આ 97 મૃતદેહોમાંથી 87 મૃતદેહોને રાજ્ય પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. સંબંધિત રાજ્ય પોલીસ પાસેથી અત્યાર સુધીમાં 51 પોસ્ટમોર્ટમ અહેવાલો પ્રાપ્ત થયા છે. આમાં, મૃત્યુનાં કારણોને કાર્ડિયાક એરેસ્ટ, હ્રદયરોગ, મગજની હેમરેજ, ફેફસાં અને યકૃત રોગનું કારણ માનવામાં આવે છે.
80 મજૂરોનાં મોતનાં સમાચાર આવ્યા હતા સામે
આ અગાઉ મે મહિનામાં પણ 80 મજૂરોનાં મોતનાં સમાચાર મળ્યાં હતાં. રેલ્વે પ્રોટેક્શન પોલીસના હવાલેથી કહેવામાં આવ્યું છે કે 9 મેથી 27 મેની વચ્ચે શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં 80 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
તમને જણાવી દઇએ કે, જ્યારે કોરોના વાયરસ સંકટ પછી દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારબાદ પરપ્રાંતિય મજૂરો ખૂબ પ્રભાવિત થયા હતા. લાખો પરપ્રાંતિય મજૂરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, આ દરમિયાન ઘણા લોકોના મોત થયાના સમાચાર પણ બહાર આવ્યા હતા. આ મુદ્દે સંસદમાં સોમવારે સવાલ પૂછવામાં આવ્યો હતો કે લોકડાઉન દરમિયાન હજારો મજૂરો મરી ગયા છે, શું સરકાર પાસે કોઈ સત્તાવાર ડેટા છે કે કેમ.