થેલેસેમિયા, હીમોફીલિયા અને સિકલ સેલ એનિમિયાની થશે સારવાર
દુર્લભ બીમારીઓથી પીડિત દર્દીઓને 50 લાખની રોકડની સહાય આપવાનો સરકારે નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દુર્લભ રોગોની સારવાર કરતી આઠ નિયુક્ત હોસ્પિટલોને એક-એક નિષ્ણાત સમિતિની રચના કરવા જણાવ્યું છે. 8 હોસ્પિટલોમાં બનનારી કમિટી દુર્લભ રોગોથી પીડિત દર્દીઓને અરજી મળ્યાંના એક મહિનાની અંદર 50 લાખ રૂપિયાની રોકડ સહાય પૂરી પાડવા અંગે નિર્ણય લેશે.
દુર્લભ બીમારીઓને સારવાર કરતી હોસ્પિટલોને 5 કરોડની સહાય
કેન્દ્ર સરકારે દુર્લભ રોગોની સારવાર કરતી દેશની આઠ મોટી હોસ્પિટલોને 5-5 કરોડની સહાય આપવાનો પણ નિર્ણય કર્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, આઠ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (સીઓઇ) ને ગેપ વિશ્લેષણના આધારે દુર્લભ રોગો માટે સ્ક્રીનિંગ, નિદાન અને નિવારણ (પ્રિનેટલ નિદાન) માટે દર્દીઓની સંભાળ સેવાઓને મજબૂત કરવા માટે ઉપકરણોની ખરીદી માટે 5 કરોડ રૂપિયા સુધીની એક વખતની નાણાકીય સહાય પણ આપવામાં આવશે.
8 hospitals to set up committees to decide on applications for aid to treat rare diseases: Health ministry
આરોગ્ય મંત્રાલયે દુર્લભ રોગોની સારવાર માટે બહાર પાડી હતી ગાઈડલાઈન્સ
મંત્રાલયે 11 ઓગસ્ટના રોજ નેશનલ પોલિસી ફોર રેર ડિસીઝ (એનપીઆરડી), 2021 હેઠળ થેલેસેમિયા, હીમોફીલિયા અને સિકલ સેલ એનિમિયા જેવા દુર્લભ રોગોથી પીડાતા દર્દીઓને નાણાકીય સહાય આપવા માટે માર્ગદર્શિકા અને પ્રક્રિયાઓ જારી કરી હતી. તે વખતે મંત્રાલયે દુર્લભ રોગોની સારવાર માટેની સહાય 20 લાખથી વધારીને 50 લાખ કરવાની પણ જાહેરાત કરી હતી.
એક મહિનાની અંદર દર્દીને મળશે 50 લાખની આર્થિક સહાય
આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ અનુસાર, 8 હોસ્પિટલોએ એક 'દુર્લભ રોગ સમિતિ'ની રચના કરવાની છે. હોસ્પિટલના દુર્લભ રોગ માટે નોડલ અધિકારી સમિતિના સભ્ય સચિવ રહેશે અને જો જરૂર પડે તો સીઓઈ પેનલમાં બહારના નિષ્ણાતની પસંદગી પણ કરી શકે છે. દર્દીઓ અથવા વાલીઓ પાસેથી મળેલી અરજીઓની સૌ પ્રથમ નોડલ અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવશે, અને ત્યારબાદ વિચારણા અને મંજૂરી માટે સમિતિ સમક્ષ મૂકવામાં આવશે. સમિતિ અરજી પ્રાપ્ત થયાના ચાર અઠવાડિયાની અંદર સારવાર અને ભંડોળ ફાળવણી માટે નિર્ણય લેશે.
દર્દીને સીધી નહીં મળે આર્થિક સહાય
ગાઈડલાઈન્સ અનુસાર આ યોજના હેઠળ સ્વીકાર્ય મહત્તમ નાણાકીય સહાય દર્દી દીઠ રૂ. 50 લાખ સુધીની રહેશે. દુર્લભ બીમારથી પીડિત દર્દી જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય તેને આર્થિક સહાય મળશે, દર્દીને સીધી આર્થિક સહાય નહીં મળે.
રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ આર્થિક સહાય માટે પાત્ર નથી
કેન્દ્ર/રાજ્ય સરકાર/પીએસયુ/સ્વાયત્ત સંસ્થાઓ/વૈધાનિક સંસ્થાઓ અને તેમના પરિવારજનો કે જેઓ કેન્દ્ર સરકારની કોઈ પણ યોજના જેમ કે સીજીએચએસ/ઈએચએસ વગેરે, રાજ્ય સરકારની આરોગ્ય યોજના અને પીએસયુ/સ્વાયત્ત સંસ્થાઓ/વૈધાનિક સંસ્થાઓની અન્ય કોઈ પણ યોજના હેઠળ લાભાર્થી છે, તેઓ એનપીઆરડી, 2021 મુજબ નાણાકીય સહાય મેળવવાને પાત્ર નહીં હોય.