પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને ઐતિહાસિક બનાવવા માટે ગુજરાત તૈયારીઓમાં લાગી ગયું છે. તેમાં પણ આ વખતે પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન હતું તે પૂર્ણ કરી ગુજરાત પ્રધાનમંત્રીને આ ઐતિહાસિક ભેટ આપવાની તૈયારીમાં છે. આ ભેટ છે નર્મદા ડેમને તેની 138 ફૂટની સપાટી સુધી પ્રથમ વખત સંપૂર્ણ ભરવો અને જો આવું થાય તો જાણે સોનામાં સુગંધ ભળી જાય તેવો માહોલ સર્જાશે. પરંતુ વિવાદ પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે આવશે ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા નર્મદા ડેમને છલોછલ ભરવાની યોજના
ડેમ ઓવરફ્લોને કારણે હોનારત થવાની સ્થાનિકોને ભીંતિ
PM મોદી આવશે ગુજરાત
ત્યારે PM મોદી 17 સપ્ટેમ્બરના જન્મદિવસ નિમિત્તે ગુજરાત આવવાના છે. તેઓ સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લઇ શકે છે. મહત્વનું છે કે, 17 સપ્ટેમ્બર સુધી ડેમ 138 મી. સુધી ભરાય તેવી શક્યતા છે. ત્યારે ગુજરાત માટે ઐતિહાસિક દિવસની ઉજવણી થશે.
ભાજપની પ્રદેશ કક્ષાની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં પીએમ નરેન્દ્રમોદીના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. સંગઠન પર્વ, સદસ્યતા અભિયાન, કલમ 370 મુદ્દે જનજાગૃતિ અભિયાન સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. સાત વિધાનસભા બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણીની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરના પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં એકસાથે નર્મદે સર્વદે મહાઆરતી યોજાશે.
સુરતમાં જન્મદિવસની વિશેષ રીતે થશે ઉજવણી
સુરતમાં PM મોદીનો જન્મદિવસ વિશેષ રીતે ઉજવાશે. એક સાથે 370 સ્થળો પર PMની કેક કપાશે અને આદિવાસી બાળકોને પૌષ્ટિક આહાર અપાશે. PMનો જન્મદિવસ દર વર્ષની જેમ ઉલ્લાસથી ઉજવવામાં આવશે.
નર્મદા અંગે CMના નિવેદન પર મનીષ દોશીની પ્રતિક્રિયા
રાજ્યસરકાર નર્મદા ડેમને 138 મિટર ભરવાની તૈયારીમાં છે. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર ડેમ ઓવરફ્લો થાય તેવા સરકારના પ્રયાસો છે ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે વાર-પલટવાર થઇ રહ્યા છે. ભાજપના કેટલાક નેતાઓએ નર્મદા ડેમ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તાએ કહ્યું કે, 1995 સુધી કોંગ્રેસ સરકારે નર્મદાને સહયોગ આપ્યો હતો. કોંગ્રેસે નર્મદાના મુદ્દે ક્યારેય રાજનીતિ નથી કરી. મોદી સરકાર આવ્યા બાદ રાજનીતિ શરૂ થઇ છે. 2001 પછી માત્ર 10 ટકા કામ થયું. કોંગ્રેસની સરકારે 90 ટકા કામ કર્યું હતું.
178 ગામ ડૂબવાની આશંકા
એકબાજુ ગુજરાત સરકાર સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના અવસરને ઉજવવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે ડેમમાં જળસ્તર વધવાને કારણે 178 ગામ ડૂબમાં જવાની આશંકા સેવાઈ રહી છે. સરદાર સરોવર ડેમનો આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. નર્મદા બચાવો આંદોલનના સભ્યો દ્વારા અરજી કરવામાં આવી છે.
તેમણે નર્મદા ડેમમાં પાણી વધારવાના મામલે સુપ્રીમમાં ધા નાંખી છે. આ આંદોલનના સભ્યોનું કહેવું છે કે, ડેમમાં સંગ્રહ કરવામાં આવી રહેલા પાણીને કારણે મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ગામડાઓમાં ડૂબી જશે. પરંતુ ગુજરાત સરકારનું કહેવું છે કે, આ વિરોધ કોંગ્રસ પ્રરિત છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર નર્મદામાં રોડાં નાખવાનો આક્ષેપ કર્યો છે.
250 જેટલા ગામોમાં નર્મદાના પાણી ઘૂસી જવાની ભીતિ
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવર ફ્લો થવાની તૈયારીમાં છે, ત્યારે ગુજરાત સરકાર તેની ઉજવણીની તૈયારી કરી રહી છે. જ્યારે નર્મદાના કાંઠે આવેલા મધ્ય પ્રદેશ અને ગુજરાતના 250 જેટલા ગામોમાં નર્મદાના પાણી ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે, એટલું જ નહીં હાલ નર્મદા ડેમ 137 મીટરની સપાટી વટાવી ચૂક્યો છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાના 40થી વધુ ગામોમાં પાણી ઘૂસી રહ્યા છે.
તેમજ ભરૂચ-નર્મદા જિલ્લાના 144 ગામોના 5000 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે મધ્યપ્રદેશના પણ 100થી વધુ ગામોમાં પાણી ભરાવા લાગ્યા છે. આમ જો નર્મદા બંધ ઓવર ફ્લો થાય તો ગુજરાત અને મધ્યપ્રદેશના નર્મદા કાંઠાના 250 જેટલા ગામોની સ્થિતિ વણસી શકે છે. પરંતુ મુખ્યમંત્રી રૂપાણીનું નર્મદા ડેમ 138 મીટરની સપાટી સુધી ભરવા અંગે કહેવું છે કે, નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરવો અમારો અધિકાર છે, જ્યારે ડેમમાંથી પાણી છોડવું અમારી મજબૂરી છે.