જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 3 દિવસમાં બે આતંકી હુમલા થયા છે. જમ્મુના સુંજવાં બાદ સોમવારે સવારે શ્રીનગરના સીઆરપીએઉ હેડક્વાર્ટર પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હુમલાની જવાબદારી લશ્કરે લીધી છે. સતત થઇ રહેલા આતંકી હુમલા પર જમ્મુ કાશ્મીરની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાન સાથે વાતચીતની વકીલાત કરી છે તો બીજી બાજુ પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાન પર કડક નિવેદન આપ્યું છે.
મુફ્તીએ ટ્વિટ કરીને અપીલ કરી છે કે જો આપણે આ લોહી લુહાણ રોકવું હોય તો પાકિસ્તાન સાથે વાતચીત કરવી જરૂરી છે. એમને લખ્યું કે મને ખબર છે કે સાંજ સુધી મારા આ નિવેદન પર મને એન્ટી નેશનલ જાહેર કરવામાં આવશે પરંતુ એ મહત્વનું નથી. એમને કહ્યું કે હુમલાના કારણે જમ્મુ કાશ્મીરના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
તો બીજી બાજુ મુફ્તીના નિવેદનથી ઊલ્ટું જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે જેટલો આતંકવાદ વધશે એટલી સમસ્યા આવશે અને પાકિસ્તાનમાં વધારે સમસ્યા આવશે. અબ્દુલ્લાએ કહ્યું કે જો આવું જ રહેશે તો હિંદુસ્તાનના લોકોએ પણ વિચારવું પડશે કે આગળનું સ્ટેપ્સ શું હશે.
તમને જણાવી દઇએ કે આ પહેલા પણ મહેબૂબા મુફ્તીએ રિયાસતમાં શાંતિ માટે પીઓકે જતા રસ્તાને ખોલી દેવાની પેરવી કરી હતી.